કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ
દર વર્ષની માફક આ વર્ષે પણ ચોમાસામાં વરસાદી પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. વર્તમાન સમયમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તેવામાં શહેરી તેમજ ગ્રામિણ વિસ્તારમાં સંબંધિત તંત્ર દ્વારા જો દવાનો છંટકાવ કરવામાં નહિં આવે તો મેલેરિયા, તાવ સહિતના રોગચાળાને અટકાવી શકાશે નહિં. છેલ્લા એકાદ પખવાડીયાથી પડી રહેલા વરસાદના કારણે ખુલ્લા પ્લોટોમાં પાણીના ભરાવાના કારણે મચ્છરોની ઉત્પતિ વધી છે.
1
ચોમાસામાં કચ્છમાં ગંદકીનું પ્રમાણ વધી જતો હોય છે. પરિણામે, મચ્છરોની ઉત્પતિ વધવાના કારણે રોગો પેદા થતા હોય છે તેમ છતા આરોગ્ય વિભાગથી માંડીને પાલિકા કે પછી ગ્રામ પંચાયતો દ્વારા સમયસર કામગીરી કરવામાં આવતી હોતી નથી. આ વર્ષે પણ પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. જયાં દવાનો છંટકાવ કરવાની તાતી જરૂરિયાત છે. શહેરી વિસ્તામાં આવેલા ખુલ્લા પ્લોટમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાવાથી ગંદકી ફેલાઈ રહી છે.મચ્છરોના ઉપદ્રવથી આસપાસના રહીશો ત્રાહીમામ બન્યા છે. તેવી રીતે ભુજ સહિતના તમામ શહેરોમાં બસ સ્ટેશન આસપાસ ગંદકી ફેલાઈ છે અને રોડની બાજુમાં ખાડા પડવાના કારણે વરસાદી પાણીનો ભરાવો થવાના લીધે મચ્છરોની ઉત્પતિ વધી રહી છે. ત્યારે, તાકિદે દવાનો છંટકાવ થાય અને સફાઈ કાર્ય અગ્રતાના ધોરણે શરૂ થાય તેવી માંગ છે.