કચ્છમાં કોરોના મૃતકને અગ્નિદાહ આપવા પરિવારજનો પણ રાજી નહીં !
કચ્છમાં કોરોનાકાળમાં ગત રોજ બીદડામાં ૧૧૭ કેસ હોવાની અફવાએ લોકોમાં રીતસરનો ડર બેસાડયો છે ત્યારે કોવિડ-19 કોરોનાની સારવાર માટે પશ્ચિમ કચ્છની નિયુક્ત થયેલી એલાયન્સ હોસ્પિટલમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓને માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત બંદર રોડ સ્થિત હરિબાગની બાજુના સાર્વજનિક સ્મશાનગૃહમાં લાવવામાં આવે છે.
લાશ સ્મશાનમાં લઇ આવ્યા બાદ તેને અગ્નિદાહ આપવા માટે ત્યાં આવેલા મૃતકના સગાં-સંબંધીઓ પૈકી કોઇ એકને અગ્નિદાહની માત્ર અડધી મિનિટની વિધિ માટે કહેવામાં આવે છે ત્યારે અગ્નિદાહ માટે કેટલાક તૈયાર થતા નથી અને સ્મશાન છોડી ચાલ્યા જાય છે. અમાનવીય અને સંવેદનહીન ઘટનાના સાક્ષી બનેલી એક જવાબદાર વ્યક્તિએ જણાવ્યું કે, `હાથ ઝાલીને કહેવું પડે કે મૃતકના તમે સગાં-સંબંધી છો, અગ્નિદાહની વિધિ અંતિમવિધિ તમારા હાથે થવી જોઇએ.’ પણ અમને કોરોના લાગી જશે તો? તેવી બીકે કોઇ ખડકેલી ચિતા નજીક આવવા તૈયાર થતું નથી. અગ્નિદાહ કોઇક કરે છે.