કચ્છની દરેક શાળા-કોલેજમાં કેરિયર કોર્નર સેન્ટર શરૂ કરાશે
હાલ કોરોના કાળમાં કચ્છના શિક્ષણ જગતને પણ વ્યાપક અસર પહોચી છે ત્યારે જિલ્લાની દરેક શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને વ્યવસાયિક અને કારકિર્દી માર્ગદર્શન મળી રહે તે માટે સંકલનમાં રહીને કેરિયર કોર્નર સેન્ટર કાર્યરત કરવાનો નિર્ણય રોજગાર સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયો હતો.
સૂચિત સેન્ટર શરૂ કરવા અને શિક્ષકોને તેમાં સાંકળવા માટે ડિસેમ્બરમાં સેમિનાર યોજવાનો નિર્ણય લેવાયો હતો.વાઈસ ચાન્સેલર ડો. જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આયોજિત રોજગાર સલાહકાર સમિતિની બેઠકમાં યુનિના રોજગારી કેન્દ્રને માટે અલાયદું ભવન ફાળવવા, વ્યવસાયિક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓનું કોલેજ કક્ષાએથી રજિસ્ટ્રેશન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા, કોલેજ કક્ષાએ કેમ્પસ ઈન્ટરવ્યૂ માટે વર્કશોપનું આયોજન કરવા, મોડેલ કેરિયર સેન્ટર યુનિ કક્ષાએથી ચલાવવા બાબત આગળની કાર્યવાહી કરવા, જોબફેર, વેબિનાર જેવા આયોજનોની વિગતો સહિત અપડેટ કરવા, શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કિલની તાલીમ મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ સ્કિલ તાલીમ સેન્ટર ઊભું કરવા માટે ફોકિયાનો સહયોગ લેવા સહિતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રોજગાર સલાહકાર સમિતિની બેઠક દર ત્રણ મહિને યોજાય તે પ્રકારનું સૂચન કરવામાં આવ્યું હતું.