કચ્છમાં ખેડૂતોને ૩૩ ટકાથી વધારે પાક નુકસાન : સર્વે
કચ્છમાં આ વર્ષે ભારે વરસાદે કિસાનોને વ્યાપક નુકશાન પહોંચાડયું છે. સરકાર દ્વારા આ અંગે સર્વે હાથ ધરાયો હતો જેમાં સરેરાશ ખેડુતોને ૩૩ ટકાથી વધુ નુકશાન પહોંચ્યું હોવાનું સર્વેમાં જણાયું છે. જિલ્લામાં ૨૬૦ ટકાથી વધુ વરસાદ ખાબકતા મોટાભાગના તાલુકામાં કિસાનોની ખેતીને અસર થઈ છે.
તાજેતરમાં ખેતી વાડી વિભાગ દ્વારા હાથ ધરાયેલો સર્વે પુર્ણ થતા જણાયું છે કે, કચ્છમાં ૨.૫૩ લાખ હેક્ટર વિસ્તારમાં નુકશાની થઈ છે. ચોમાસું પાક હેઠળ ૬.૪૮ લાખ હેકટરમાં વિવિધ પાકની વાવણી કરાઈ હતી. જેની સામે ૩૯ ટકા વાવેતર વિસ્તારમાં ૩૩ ટકાથી વધુ નુકસાની થઈ હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. બે હેકટરની મર્યાદામાં ખેડુતને ૨૦ હજાર રૃપિયા વળતર સરકાર દ્વારા આપવાનું છે. જ્યારે ઓછામાં ઓછી જમીન ધરાવતા ખેડુતને પણ ૫ હજારની સહાય અપાશે. સર્વે ભલે પુર્ણ થઈ ગયો છે આમ છતાં પણ પાક નુકશાની અંગે ઓનલાઈન અરજી કરી શકાશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ધરા ધરાવતા ગામોમાં ખેડુતો પોતાના ૭-૧૨, ૮-અ, વાવેતરનો દાખલો,આાધાર કાર્ડ અને બેંક ડીટેઈલની માહિતી વીસીને આપવાની રહેશે. અથવા તો તમામ દસ્તાવેજો ગ્રામસેવકોને પણ આપી શકાય. ૩૧મી ઓકટોબર સુધી ખેડુતો ઓનલાઈન અરજી કરી શકશે. સરકાર દ્વારા ખેડુતોના ખાતામાં નુકસાની રકમ સરકાર દ્વારા ઓનલાઈન ચુકવાશે.