નારાયણ સરોવરમાં કોરોનાના પ્રથમ કેસથી ફફડાટ
નારાયણસરોવરમાં સોમવારે 128 વેપારીઓના રેપિડ ટેસ્ટ કરાયા હતા જે તમામ નેગેટિવ નીકળતાં લોકોએ રાહતનો દમ લીધો હતો પણ બીજા દિવસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ફફડાટ ફેલાયો હતો. દર્દીને વતન ભુજ ખસેડાયો હતો. અત્યાર સુધી કોવિડ મુક્ત રહેલા તીર્થધામમાં પહેલો કેસ નોંધાતાં ચિંતિત લોકોએ જણાવ્યું હતું કે, નવરાત્રિમાં માતાના મઢનું મંદિર બંધ રહેવાનું હોતાં નારાયણસરોવરમાં ભીડ થવાની સંભાવના છે તે પહેલાં જ કોરોનાએ ગામમાં પગપેસારો કર્યો છે.
બીજી બાજુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે અને જે સ્ટાફ છે તે પણ ઓછો હોતાં નર્સના ભરોસે કેન્દ્ર ચાલી રહ્યું છે તેમ જાણવા મળ્યું હતું. સંક્રમણ વધે તે પહેલાં પીએચસીમાં તબીબ મુકાય તેવી માગ ઉઠી હતી.