સ્વયંભૂ લોકડાઉન થકી નાના અંગિયા ગામે કોરોનાથી મેળવી મુક્તિ
સમગ્ર વિશ્વ હાલ કોરોનાના ભરડામાં સપડાઇ ચૂક્યું છે તેવામાં નાના અંગીયાના ગ્રામજનોએ પોતાની જાગૃતતાથી કોરોનાથી કઈ રીતે મુક્ત બની શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહર પૂરું પાડ્યું છે. અભેધ કિલ્લેબંધી થકી સુરક્ષા કવચ મેળવીને નવા કોરોના સંક્રમિતથી મુક્તિ મેળવી હતી.ગામમાં છેલ્લા સપ્તાહ દરમિયાન કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં એકાએક વધારો થયો હતો. દિવાળી બાદ 10થી 12 પોઝિટિવ કેસો નોંધાયા હતાં. એક સંક્રમિતનું મોત પણ થયું હતું. ગ્રામ પંચાયત તેમજ વેપારી મંડળના સંયુક્ત પ્રયાસોથી એક અઠવાડિયા માટે સ્વયંભૂ લોક ડાઉન અપનાવીને કોરોના સંક્રમિત નવી સંખ્યા માંથી મુક્તિ મેળવી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાથી રક્ષણ મેળવવા માટે લગભગ અંદાજિત 3000 લોકોને આરોગ્ય વિભાગના સહકારથી ઉકાળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું . અગાઉ નોંધાયેલ સંક્રમિત લોકોને આરોગ્ય વિભાગની સતત દેખરેખ હેઠળ આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે.ગામના સરપંચ તુલસીભાઈ ગરવા , ઉપસરપંચ મણિલાલ મેઘાણી , આરોગ્ય કર્મચારી સ્ટાફ , ડૉ.ગઢવીભાઈ, વેપારી મંડળના આગેવાનો તેમજ મનોજભાઈ સહિતના લોકોએ જાગૃતિ માટે તેમજ લોક ડાઉન ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.