કચ્છમાં રંજકાના ભાવ આસમાને પહોચ્યા
છેલ્લા ઘણા દિવસોથી ભુજ ભીડ નાકાં સ્થિત લીલા ઘાસચારા બજારમાં અન્ય ચારા મકાઈ અને જુવાર કરતાં રંજકાના ભાવ વધારે છે, તેનું કારણ પૂછતાં વિક્રેતાએ કહ્યું કે, વિક્રમી વરસાદ પછી સમયાંતરે માવઠાંનાં કારણે રંજકાના પાકને ખાસ્સું એવું નુકસાન થયું છે. અમુક જ વાડીના માલિકે આ પાકને બચાવવમાં સફળ રહ્યા છે. સંક્રાંતની આજુબાજુ રંજકાનો નવો ફાલ આવી જતાં ભાવ નીચો રહેવાની સંભાવના છે.
હાલે રૂા. 40થી 50નો એક પૂળો તથા મણના રૂા. 200થી 250 વેચાણ છે. જ્યારે લીલી જુવાર રૂા. 140થી રૂા. 150ની મણ. વળી, મકાઈનો ભાવ હાલે રૂા. 70થી 80 મણના છે. સૂકા ચારામાં જુવાર રૂા. 250થી 300માં લોકો પશુધન માટે લઈને સંગ્રહ કરી રહ્યા છે. ચોમાસાં દરમિયાન જંગલમાં ચરિયાણ માટે મોકલાયેલ ગૌવંશ સીમમાં ચારો પૂરો થઈ જતાં પરત ગૌશાળામાં આવી ગયો છે. એટલે હવે લીલાચારાની ગૌશાળામાં ખૂબ જ જરૂરિયાત ઊભી થશે તેવું પશુપાલકો માની રહ્યા છે.