પચ્છમમાં બર્ફીલા પવનના લીધે પશુપાલનને થયેલી માઠી અસર
તાલુકાના સરહદી પચ્છમ વિસ્તારમાં ઉત્તરાદા બર્ફીલા પવનોની શીતલહેરની લોકો તેમજ પશુધન પર મોટા પાયે અસર વર્તાઈ રહી છે. લોકોના જનજીવન, રોજેરોજ કમાઈને ખાનારો મજૂરવર્ગ તેમજ ખેતીની સતત ખડેપગે ચોકી કરનારા ધરતીપુત્ર પર આ ઠંડીના ઠારએ વ્યાપક અસર કરી છે. ઠંડીના ઠારના કારણે પશુધન દૂર દૂર ચરવાનું માંડી વાળીને વથાણમાં જ પડયું પાર્થર્યું રહે છે. જેથી ચરિયાણના કારણે દૂધમાં મોટા પાયે તફાવત-ઘટાડો નોંધાઈ રહ્યો છે.
માલધારીઓને હાલે સારા વરસાદ અને પુષ્કળ ઘાસચારાને કારણે દૂધમાં સારી એવી આવક થઈ હતી અને મોળા માવાના પણ આ વર્ષે સારા એવા ભાવ મળતાં માલધારીઓની આર્થિક સ્થિતિ પણ ખૂબ જ સારી બની હતી. ઘણા બધા પશુપાલકોએ વર્ષો જૂના કરજરૂપી બોજમાંથી મુક્તિ મેળવી હતી. પણ ત્યારે આ ઠંડીના ઠારના કારણે દૂધ ઉત્પાદન દૈનિકમાં મોટો ઘટાડો થવાથી ઘણું બધું પશુપાલકોને નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ બર્ફીલા પવનોના ઠારની પશુપાલન – પશુપક્ષી પણ વ્યાપક અસર વર્તાઈ રહી છે. જેથી દૂધના ઉત્પાદનમાં ઘટાડાના કારણે પશુપાલકોના આર્થિક જનજીવન પર પણ મોટા પાયે અસર વર્તાઈ રહી છે. આમ જો આ ઠંડી વધુ સમય રહેશે અને ઠંડીનું જોર ઓર વધશે તે સાથે પશુપાલન પર વધુ ગંભીર અસર કરશે એવું પશુપાલકો માની રહ્યા છે. આવો ઠાર ઘણા વર્ષો બાદ જોવા મળી રહ્યો છે, જેમાં ઠંડીની સાથે ઝાકળ પડે છે.