કચ્છમાં કોરોના વેક્સિનેશનને લઈને હેલ્થ કેર વર્કર્સમાં નિરુત્સાહ
કચ્છમાં હેલ્થ કેર વર્કરને પ્રાથમિકતા આપીને 16 જાન્યુઆરીથી કોરોના સામે વેક્સિનેશન શરૂ કરાયું છે જેમાં ચોંકાવનારી રીતે હેલ્થ કેર વર્કર રસી લેવામાં નિરૂત્સાહી જણાઇ રહ્યા છે. અત્યાર સુધી 16901ના લક્ષ્ય સામે 9808 હેલ્થ વર્કરે વેક્સિન લેતાં 58 ટકા સિધ્ધિ મળી છે તેની સામે વિવિધ વિભાગોના સરકારી કર્મચારીઓએ ઉત્સાહ દર્શાવતાં 78 ટકા જેટલાએ વેક્સિન લીધી છે.
હેલ્થ કેર વર્કર માટે તા. 16/1થી વેક્સિનેશન શરૂ કરાયું છે જેના પ્રથમ દિવસે 509ની સામે 419 વર્કરે રસી લેતાં શરૂઆત સારી રહી હતી અને ચોથા તબક્કામાં તા. 22/1ના 559ની સામે 511 જેટલા વર્કરે રસી મુકાવતાં 91 ટકા લક્ષ્યાંક પ્રાપ્ત થયું હતું પણ ત્યાર બાદ નિરૂત્સાહ સપાટીએ આવ્યો હોય તેમ બીજા જ દિવસે તા. 23ના માત્ર 42 ટકા વર્કરે રસી મુકાવી હતી.
આ ગ્રાફ તા. 31 જાન્યુઆરીએ તો ગંભીર રીતે નીચે ઉતરીને તે દિવસે 300 વર્કરને રસી મુકવાની હતી તેની સામે માત્ર 76 જણે જ વેક્સિન લેતાં માત્ર 25 ટકા જ સિધ્ધિ મળી હતી. આમ ખુદ આરોગ્ય સાથે સંકળાયેલા કર્મચારીઓ નિરૂત્સાહી જણાઇ રહ્યા છે. બીજી બાજુ 31 જાન્યુઆરીથી સુરક્ષા, પંચાયત, મહેસૂલ, પાલિકા સહિતના કર્મચારીઓને રસી મૂકવાનું શરૂ કરાયું છે જેમાં પ્રથમ દિવસે 74 અને બીજા દિવસે ગ્રાફ ઉંચકાઇને 89 ટકા કર્મચારીઓએ રસી લીધી છે. અત્યાર સુધી 10518 સરકારી કર્મીઓને રસીકરણ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક રખાયો હતો તેની સામે 8155 કર્મચારીઓએ કોવિડ સામેનું સુરક્ષા કવચ લેતાં 78 ટકા સિધ્ધિ મેળવી શકાઇ છે.