આ વર્ષે વસંત પંચમીના દિવસે ગ્રહોની અસરથી શરણાઈના સૂરો નહીં રેલાય
વગર મુર્હુતે લગ્ન સહિતના શુભકાર્યો વસંત પંચમીના દિવસે લોકો કરતા હોય છે પરંતુ આ વર્ષે ૧૯ વર્ષ બાદ વસંત પંચમીના ગુરૂ-શુક્રનો અસ્ત અને ભાગી તિથીના કારણે શુભ કાર્યો માટે એકપણ મુર્હુત ન હોવાનું જ્યોતિષ વિદો જણાવી રહ્યા છે.
આ અંગે વિગતો મુજબ ચાલુ વર્ષે ર૦ર૧માં ૧૬ ફેબ્રુઆરીના વસંત પંચમીના દિને રેવતી નક્ષત્ર રહેશે અને ચંદ્ર મીન રાશીમાં હરેશે. આ દિવસથી પ્રકૃતિ સોળે કળાએ ખીલતી હોઈ સરસ્વતી પુજન કરવાથી વિશેષ લાભ મળે છે. ગુરૂ-શુક્ર ગ્રહોના અસ્ત તથા ભાગી તિથીના કારણે દોઢ દાયકાથી વધુ સમય બાદ પ્રથમ વર્ષે વસંત પંચમીના ક્યાંય શરણાઈના સુરો નહીં રેલાય. અત્રે ઉલ્લેખનિય છે કે, ધનાર્ક પૂર્ણ થયા બાદ શુભ માંગલીક કાર્યોનો પ્રારંભ થાય છે પરંતુ આ વર્ષે તબક્કાવાર ગુરૂ અને શુક્ર ગ્રહના અસ્તના કારણે જાન્યુઆરીમાં માત્ર એક ૧૮ તારીખે જ શુભ મુર્હુત હતું ત્યાર બાદ ચાલુ માસમાં ૧૬ તારીખથી ૧૭ એપ્રિલ સુધી શુક્ર અસ્ત થતા લગ્નના કોઈ મુર્હુત નથી. અત્રે ઉલ્લેખનિય છે ગત વર્ષે માર્ચથી કોરોના સંક્રમણના કારણે લગ્નની સીઝન લગભગ ફેઈલ ગઈ હતી અને હવે ગ્રહોની અસરના કારણે વસંત પંચમીના દિવસે વણજોયા મુર્હુત પણ લગ્ન સહિતના શુભ કાર્યો થઈ શકશે નહીં. એટલે આગામી રર એપ્રિલથી જુલાઈ સુધીમાં રર જેટલા લગ્નના મુર્હુતો હોવાનું જણાવાયું છે.