તાંત્રિક વિધિ કરવાનું કહી મેઘપર બોરીચીમાં નકલી કિન્નરે બે પરિવારો પાસેથી 8 હજાર ધૂત્યા
અંજાર તાલુકાના મેઘપર બોરીચી ખાતે દક્ષિણાને બહાને ઘરમાં આવી મેલું કાઢવા તાંત્રિક વિધી કરવાનું કહી બે પરિવારો પાસેથી દાગીના અને રોકડ સહિત રૂ.8 હજાર ધૂતી લેનાર નકલી રાજકોટના પડધરીના અરવિંદનાથ જીવનનાથ પરમાર નામના નકલી કિન્નરની પોલ ખૂલતાં ભાગ્યો હતો જેનો 1 કિલોમીટર સુધી સોસાયટીના રહેવાસીઓએ પીછો કરી પકડી પોલીસને સોંપ્યો હતો.
મેઘપર બોરીચી રહેતા મુળ જુનાગઢના સચીનભાઇ પ્રવિણભાઇ યાદવે તેના વિરૂધ્ધ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સવારે તેઓ ઘરે હતા ત્યારે સાડી પહેરેલો કિન્નર આવ્યો હતો અને દક્ષિણા માગી હતી તેને સચીનભાઇએ પોતાની પુત્રીને આશિર્વાદ આપવાનું કહેતાં તે ઘરની અંદર આવ્યો હતો અને ત્યારબાદ તેણે તેમની પત્ની વિભૂતીબેનને તમને કોઇ દોષ નડે છે કહી પાણીનો ગ્લાસ મગાવી તેમાં કંકુ ચોખા નાખી મંત્ર બોલ્યા હતા અને તે પાણી તેમની પત્નીને પણ પીવડાવ્યું હતું.
તમારા કુટુંબમાં કોઇએ મેલું કર્યું હોવાનું જણાવી તે કાઢવા વીધી કરવા માટે સામાનનું કહેતાં તે સામાન ન હોવાને કારણે રોકડા આપવા જણાવતાં રૂ.1500 તેમને આપ્યા બાદ એક વીધી સ્મશાનમાં કરવી પડશે તેમ કહી તેના માટે રૂ.21,000 ની જરૂર પડશે કહી સોનાના જે દાગીના પહેર્યા હતા તે આપવાનું કહેતાં ના પાડી તો તેણે જો મેલું કાઢવું હોય તો હું કહું તેમ કરો કહી દાગીના મંત્રી આપું ત્યારબાદ પહેરી લેજો કહી પત્નીએ પહેરેલી બે વીંટી અને રૂ.2100 રોકડ લીધા બાદ કાળા કલરની બેગમાં મુકી તેણે ફરી પાણી મગાવી તેમાંથી પીધુ અને છંટકાવ કરી બહાર નિકળી ગયા હતા.
સચીનભાઇ ઓફિસે જવા નિકળ્યા બાદ તેમને વિચાર આવ્યો કે દાગીના કેમ આપ્યા આ વિચાર આવતાં તેઓ ઘરે પાછા આવ્યા હતા અને પત્નીનજે કહેતાં તેણે પેલો કિન્નર સામેના ઘરમાં પણ જતો હોવાની વાત કરતાં આ બાબતે સોસાયટીના પ્રમુખ ને વાત કરતાં સોસાયટીના પ્રધ્યુમનસિંહ લાખુભા જાડેજા, અશ્વિન ભગવાનભાઇ પટેલ, રાજેન્દ્ર હેમરાજ પટેલ, દિવ્યાબા ઇન્દ્રસિંહ સરવૈયા અને જુબેદાબેન દાઉદ મકરાણીએ શોધ કરતાં તે વિજયનગર સોસાયટી પાસે મળી જતાં તે રહેવાસીઓને જોઇને ભાગ્યો હતો. જેને પીછો પકડી નામ પૂછતાં તે રાજકોટના પડધરીના તરઘરી ગામનો અરવિંદનાથ જીવનનાથ પરમાર હોવાનું જણાવ્યું હતું તેનો થેલો તપાસતાં તેણે સચીનભાઇના ઘરમા઼થી રોકડ સહિત રૂ.3,801 ની મત્તા તેમજ અન્ય મળી કુલ રૂ.8,801 ની માલમત્તા મળી આવતાં તેને અંજાર પોલીસને સોંપ્યો હતો.