હવે કંડલાથી અમદાવાદ હવાઈ મુસાફરી માત્ર ૯૯૯ માં !
એર ઈન્ડિયાની શાખા એલાયન્સ એર દ્વારા કંડલા અમદાવાદ વચ્ચે સસ્તા દરે વિમાની સેવાની યોજના અમલી કરવામાં આવી છે, તેનો લાભ લેવા માટે પ્રવાસીઓ આવતીકાલથી ત્રણ દિવસ સુધી ટિકિટ બુક કરાવી શકશે.
એલાયન્સ એરના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પ્રવાસીઓને પરવડે તેવી કિંમતે વિમાની સેવા પૂરી પાડવા માટે ઉનાળાની મોસમમાં આપવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત પ્રવાસીઓ રૂા. 999માં કંડલાથી અમદાવાદ વચ્ચે વિમાની સફર કરી શકશે. પ્રવાસીઓ 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીના સમયગાળાની ટિકિટ મેળવી શકશે. આજથી તા. 15 માર્ચ સુધી પ્રવાસીઓ આ યોજના માટેની ટિકિટ મેળવી શકશે. સ્પર્ધાત્મક ભાડાં માટે મર્યાદિત બેઠકો જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંડલા અમદાવાદ વચ્ચે એલાયન્સ એર દ્વારા તાજેતરમાં જ વિમાની સેવા શરૂ કરવામાં આવી છે. સરકારી વિમાની કંપની દ્વારા કંડલાથી નાસિકની કનેક્ટિવિટી પણ આપવામાં આવી છે. જો કે, આ યોજનાનો લાભ કંડલાથી અમદાવાદની ટિકિટ માટે જ મળી રહેશે.