પાક. મરિને અરબી સમુદ્રમાંથી ફરી 4 બોટ સાથે 20 માછીમારોને ઉઠાવ્યા
પાકિસ્તાનની કુખ્યાત મરિન સિક્યુરીટી એજન્સી બેફામ બનતા ભારતીય બોટો સાથે માછીમારોના અપહરણનો સીલસીલો અવિરત રહ્યો છે. ગુરુવારે મોડી સાંજે નાપાક એજન્સીએ આઇ.એમ.બી.એલ. પાસેથી સૌરાષ્ટ્રના 20થી વધુ માછીમારો સાથેની 4 બોટોનું અપહરણ કરતા સાગરખેડૂ માછીમારોમાં ભય અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પોરબંદર અને 2-2 બોટ આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક અલગ અલગ જગ્યાએ માછીમારી કરી રહી હતી ત્યારે ગુરુવારે સમી સાંજે પાક. મરીનની બોટમાં આવેલા કમાન્ડોએ ચારે બોટને ઘેરી લઇને આ વિસ્તારને પોતાની જળસીમા લેખાવી દાદાગીરી કરી હતી તથા 4 બોટોને ઉઠાવી ગયા હતા. આ બોટમાં 20 અથવા તેથી વધુ માછીમારો હોવાની શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી આપણા માછીમારો-બોટોની અપહરણની ઘટના બને ત્યારબાદ ભારતીય સુરક્ષા એજન્સી મોટા ભાગે એવું કારણ દર્શાવે છે કે, આપણા માછીમારો બહુ દુર સુધી ચાલ્યા ગયા હતા. ભારતીય એજન્સીઓ બધી રીતે સક્ષમ હોવા છતાં માછીમારોના અપહરણ થતા રોકી શકતી નથી. આવું જ રહ્યું તો આધુનિક બનેલી પાક. એજન્સી પડકાર રૂપ બનશે.