કચ્છમાં પણ મ્યુકરમાઇકોસીસ રોગની એન્ટ્રી : કોરોના કરતાં પણ મ્યુકરમાયકોસિસ ઘાતક
કોરોનાના કારણે દર્દીઓ અગાઉથી પરેશાન છે ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓમાં તાજેતરમાં નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળેલા મ્યુકરમાયકોસિસ નામની બીમારીથી એલર્ટ રહેવા આરોગ્ય વિભાગે તાકિદ કરી છે. કોરોના સંક્રમિત હોય અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને આ ચેપ લાગવાની સંભાવના વધુ હોય છે અને ગંભીર હોવાનું પણ જણાવાયું છે. આ રોગમાં મૃત્યુનું પ્રમાણ ૫૦ ટકા કરતા પણ વધુ છે. અમદાવાદ, રાજકોટમાં કોરોનાના દર્દીઓને આ રોગ થયો છે જેમાંથી કેટલાકના મૃત્યુ પણ થયા છે તેથી આરોગ્ય વિભાગે જિલ્લા આરોગ્ય અધિકારી, તજજ્ઞો અને મેડિકલ અધિકારીઓને પણ રોગ અંગે ગાઇડ લાઇન મોકલી આપી છે.
આરોગ્ય વિભાગના જાહેર આરોગ્યના અધિક નિયામક ડો. દિનકર રાવલે આરોગ્ય તંત્રના અધિકારીઓ-તબીબોને માર્ગદર્શિકા મોકલી છે. જેમાં જણાવાયું છે કે, એક પ્રકારની ફૂગથી થતા રોગના કારણ જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ ગઇ હોય કે અન્ય બીમારીઓ હોય તેમને મ્યુકરમાયકોસિસનો ચેપ લાગવાની સંભાવના વધુ હોય છે. જેમાં મૃત્યુનું પ્રમાણ ૫૦ ટકા જેટલું હોય છે. સામાન્ય રીતે તેના કેસ છૂટાછવાયા આવતા હોય છે પરંતુ અમદાવાદ અને રાજકોટમાં કોરોના દર્દીઓમાં આ રોગ પણ જોવા મળતા તે અંગે સાવચેતી રાખવાની તાતી આવશ્યકતા છે. ફંગલ ઇન્ફેક્શન શ્વાસોચ્છશ્વાસના કારણે થઇ શકે છે.