નિયમોની અવહેલના કોરોનાની થાળે પડેલી સ્થિતિને ફરી વકરાવશે
જિલ્લામાં કોરોનાનાં સંક્રમણમાં ઉત્તરોત્તર ઘટાડો થતાં રાહત જોવા મળે તે સ્વાભાવિક છે, પણ હજુ કોરોનાનો ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી, ત્યારે નિયમપાલનની અવહેલના થાળે પડેલી સ્થિતિને ફરી વકરાવે તેવી ભીતિ જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફેબ્રુઆરીમાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાયા બાદ કોરોનાએ ઉથલો માર્યો અને એપ્રિલ-મેમાં કોરોનાની બીજી લહેર અતિ ઘાતક નીવડી હતી. હવે જ્યારે સંક્રમણનો દોર હળવો પડયો છે, ત્યારે નિયમપાલનને લઈ ગાફેલતા ન દાખવાય તે માટે સૌએ સજાગ રહી જાગૃતતા દેખાડવી પડશે. ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ 25ની નજીક પહોંચી ગયા બાદ એકાએક તેમાં ઉછાળો આવવાનું શરૂ થયું હતું. એપ્રિલ-મેમાં બંધ રહેલા રાજકીય-સામાજિક મેળાવડા સહિતનાં આયોજનો ફરી એકવાર શરૂ થયાં છે. સીમિત સંખ્યામાં આ પ્રકારનાં આયોજન ગોઠવવાનો આદેશ, છતાં કયાંકને કયાંક નિયમોનો ઉલાળિયો થતો જોવા મળી રહ્યો છે, તો સંક્રમણની ગતિ ઠંડી પડતાં લાકો પણ બિન્ધાસ્ત બની ગયા હોય તેમ માસ્ક પહેરવાની વાત હોય કે સામાજિક અંતર જાળવવાનું હોય, તમામ બાબતોનું યોગ્ય રીતે પાલન થતું જોવા મળતું નથી. રાત્રિ કર્ફ્યૂને જારી તો રખાય છે, પણ અગાઉ જેવી કડક અમલવારી થતી એવી હવે ન થતી હોવાના લીધે રાત્રિ કર્ફ્યૂ જારી હોવા છતાં લોકોની આવન-જાવન મહદ્અંશે ચાલુ જ જોવા મળે છે, ત્યારે તંત્ર અને પ્રજા બન્ને આ મુદ્દે ગંભીરતા દેખાડે તે ઈચ્છનીય બની ગયું છે.