ભુજમાં દર વર્ષે યોજાતા સાતમ આઠમના મેળાની આ વર્ષે શક્યતા નહિવત
એક મહિના બાદ શ્રાવણના સૌથી મોટા અને લોકપ્રિય એવા સાતમ આઠમના મેળા છે. તે અગાઉ અષાઢ મહિનામાં જ નાગ પાંચમના ભુજીયાના મેળાથી એક પછી એક મેળા શરૂ થાય છે. ગત વર્ષે કોરોના મહામારી ફેલાતા દરેક ધાર્મિક અને સામાજિક મેળાવડા પર પ્રતિબંધ લદાયો હતો. જે ધીરે ધીરે ઉઠી જતા દિવાળી અને ચુંટણી બાદ બીજી લહેર આવી. હવે સંભવિત ત્રીજી લહેરની શક્યતાઓ વિશ્વ આરોગ્ય સંસ્થા સહિતના બતાવી રહ્યા છે, ત્યારે સરકાર મેળાઓ યોજવા કે નહિ તેનો શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ છે.
ભુજમાં વર્ષોથી હમીરસર કાંઠે શીતળા સાતમ અને જન્માષ્ટમીના દિવસભર મેળો ભરાય છે. સ્ટોલ સહિતની વ્યવસ્થા નગર પાલિકા સંભાળે છે. આ વર્ષે થશે કે નહીં તેવું સુધરાઇ પ્રમુખ ઘનશ્યામ આર.ઠક્કરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે પણ લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને ગુજરાત સરકાર મેળા માટે મંજૂરી આપે તેવી શક્યતા નથી દેખાતી.
સાતમ આઠમના મેળા એવી જગ્યાએ ઉજવાય છે કે, જ્યાં ખૂબ ભીડ થાય. હાલ પરિસ્થિતિ છે તે મુજબ એકસાથે એક જગ્યાએ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તે પણ ઉચિત નથી. માટે અન્ય મેળાઓનું આયોજન કરવામાં આવે તો પણ આ બંને મેળા ન યોજાય તેવી સંભાવના છે.