ભુજની સીટીબસ બંધ હોવાથી છાત્રોને શાળાએ જવામાં સર્જાઈ સમસ્યા
ભુજની સીટીબસ બંધ હોવાથી હાલે માધ્યમિક શિક્ષણ શરૂ થયા બાદ છાત્રોને શાળા પહોંચવામાં ભારે આર્થિકખર્ચ કરવાની નોબત આવી છે. ચુંટણી જીતવા સમયે સુધરાઈના શાસકોએ સીટી બસ ચાલુ કરવાના વાયદા કર્યા હતા પરંતુ તે દિશામાં હજી સુધી કોઈ પગલા ન ભરાતા ગરીબ-મધ્યમવર્ગીય વાલીઓ વધુ એક ખર્ચના ખાડામાં ઉતરી ગયા છે.
આ અંગે રોષ સાથે વાલીઓએ જણાવ્યું હતું કે, ભુજનો વિસ્તાર ૫૫ ચો.કિમીથી પણ વધી ગયો છે. સેવનસ્કાયથી બીજીતરફ શનિદેવ મંદિર સુધી કોલોની વિસ્તરી છે. તેવામાં આ રસ્તા પર તો છકડા કે રીક્ષાઓ પર મળતા નથી. જેથી વાલીઓને ખાસ છકડા કે રીક્ષા બાળક માટે ભાડવી પડી રહી છે. જે માસિક ઉંચા ટીકીટ ભાડા વસુલી રહ્યા છે. એક બાળક દિઠ વાલીને ૧૫૦૦ થી ૨૦૦૦નો ખર્ચ હાલે ભોગવવાનો આવી ગયો છે.
સીટી બસ હોય તો વિદ્યાર્થીઓ માટે માસિક પાસની સુવિધા ચાલતી હોઈ વાલીઓને ઘણી રાહત હતી. ઉપરાંત નિયમિત સમય અને સુરક્ષાનો પ્રશ્ન ઉભો થતો ન હતો. પરંતુ હાલે છેલ્લા અઢી વર્ષથી બંધ સીટીબસ આજદિન સુધી ચાલુ ન થતાં કોરોનાકાળમાં શરૂ થયેલી શાળામાં પહોંચવા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. હાલે એક વિદ્યાર્થીદિઠ રોજના રૂ.૫૦ થી ૧૦૦નો ખર્ચ વાલીને ઉઠાવવો પડી રહ્યો છે. એમાં છકડા અને રીક્ષાચાલકો મનફાવે તેમ ભાડા લઈ રહ્યા છે. ત્યારે ચુંટણી સમયે મોટા મોટા વાયદા કરનારા પદાધિકારીઓ તાત્કાલિક અસરથી સીટી બસ ચાલુ કરાવે તેવી માંગણી કરાઈ છે.