ધોળાવીરા સિવાયની બીજી વસાહતોનું સંશોધન કાર્ય હાથ ધરાયું જ નથી
કચ્છના ધોળાવીરા સાઈટને યુનેસ્કોની હેરિટેજ સમિતિની બેઠકમાં સતાવાર રીતે હેરિટેજ (ધરોહર)નો દરજજો આપવામાં આવ્યો જેના પગલે પ્રવાસનની ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહેલા કચ્છની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ તો ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ કરવામાં આવતા ધોળાવીરા સાઈટ તેમજ ખડીર વૈશ્વિક નકશા પર આવી જશે. અહિં પ્રવાસનની નવી તકો ઉભી થશે. જે કચ્છ તેમજ ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત કહી શકાય પરંતુ કચ્છમાં ધોળાવીરા સિવાય પણ અન્ય નાની-મોટી વસાહતો મળી આવી છે. પરંતુ આ ઐતિહાસિક વિરાસતોનું સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યુ નાથી. પરિણામે આવી જગ્યાઓ પ્રચલિત બની નથી. ઈતિહાસ સાથે ઘરોબો ધરાવતા વર્ગે આવી જગ્યાઓની મુલાકાત લઈને સરકારનું ધ્યાન દોરે તો ધોળાવીરાની માફક આ જગ્યાઓનો પણ વિકાસ થાય તેમ છે. સિંધુકાલીન સંસ્કૃતિને જોડતી આ જગ્યાઓની અનદેખી કરવાને બદલે તેનો પણ વિકાસ અવશ્ય કરી શકાય તેમ છે.
કચ્છમાં હયાત સિંધુકાલીન અવશેષોમાંથી ફકત એક ધોળાવીરાનું યોગ્ય ઉત્ખન્ન થયુ છે પણ તે પણ પૂર્ણ કક્ષાનું કરાયુ હોય તેવુ લાગતુ નાથી. શિકારપુર, પાબુમઠ તેમજ દેશલપર ગુંતલીમાં પ્રારંભિક કક્ષાના અભ્યાસ પછી કશું જ વિશેષ સંશોધન થયુ નથી. જયારે નવીનાળ, નાની રાયણ તેમજ કચ્છના રણમાં આવેલા ટાપુ પરના હડપ્પા કાલીન વસવાટો તરફ કોઈએ નજર સુધ્ધા કરી નથી.
કચ્છની ધરતીએ અસ્મિતા જાળવી રાખી છે પરંતુ યોગ્ય જાળવણીના અભાવે તેનું ખેદાન મેદાન પણ થયુ છે. લોક સંસ્કારમાં,લોક માનસમાં, બન્નીના ઘર પરની ડિઝાઇનમાં સ્વસ્તિક, માતૃ પુજા, વૃક્ષ પુજા, ગો પુજા, શિવ પુજા તરીકે ધરબાયેલી પડેલી આ પાંચ હજાર વર્ષ પુરાણી સંસ્કૃતિ હજુ પણ જીવંત છે. પરંતુ આ મૃત અવશેષોને જાળવવા એ આપણી નૈતિક ફરજ અને જવાબદારી છે. દુનિયાના તમામ દેશોએ પોતાની અસ્મિતા જાળવી રાખવાના પ્રયત્નો કર્યા છે. જેટલો જીવંત ધર્મને રાખવાની જરૃર છે તેટલી જ જરૃર સંસ્કૃતિને જીવંત રાખવાની છે કારણ કે સંસ્કૃતિ એ સંસ્કાર છે અને સંસ્કાર છીએ તો જ આપણે છીએ.