કોરોનાનો વધતો વ્યાપ : કચ્છમાં વધુ બે કેસ
કચ્છમાં કોરોનાનો વ્યાપ ફરી એકવાર વધી રહ્યો હોય તેમ એકાંતરા ત્રણ દિવસે કેસ નોંધાવવાનો સિલસિલો જારી રહ્યો હોય તેમ બુધવારે મળેલી રાહત બાદ જિલ્લામાં વધુ બે કેસ નોંધાયા, તેની સામે એક દર્દી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી.
આરોગ્ય તંત્રની સત્તાવાર યાદી અનુસાર હોટસ્પોટ બનેલા નખત્રાણામાં વધુ એકસાથે લાંબા સમય પછી મુંદરા તાલુકામાં કોરોનાના કેસે દેખા દીધી છે. નખત્રાણા તાલુકામાં એક નહીં પણ બે કેસ નોંધાયાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ કેસ મોટી ખોંભડી અને મોટા ધાવડામાં નોંધાયાની વિગતો પણ સૂત્રો દ્વારા અપાઇ હતી. દરમ્યાન, મુંદરામાં નોંધાયેલા કેસની ભુવનેશ્વરની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું જાણવા મળ્યું છે. આ યુવાન ભુવનેશ્વરથી પોર્ટમાં નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા આવ્યો હોવાની વિગત સત્તાવાર રીતે મળી છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 12615 તો સાજા થયેલા દર્દીઓની સંખ્યા 12495 અને સક્રિય કેસ આઠ પર પહોંચ્યા છે.18033 લોકોને રસી અપાતાં જિલ્લાના કુલ રસીકરણનો આંક 11.25 લાખ થયો છે. સૌથી વધુ ભુજમાં 3048 અને સૌથી ઓછી 641 લખપત તાલુકામાં રસી આપવામાં આવી હતી. લખપત તાલુકાને બાદ કરતાં બાકીના નવ તાલુકામાં 1000થી વધુ લોકોને રસીનું સુરક્ષા કવચ પૂરું પડાયું હતું.