કચ્છમાં ગત વર્ષ કરતાં બેરોજગારી દરમાં પાંચ ટકા જેટલો વધારો, જિલ્લામાં 11,535 શિક્ષિત બેરોજગાર
ભારત સાથે કચ્છ જિલ્લામાં પણ બેરોજગારીનો આંકડો સતત વધી રહ્યો છે. જિલ્લામાં યુવાનોની સંખ્યા વધી રહી છે અને સાથે જ શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં પણ સતત વધારો નોંધાય છે. જિલ્લામાં વર્ષ 2020-21 કરતા ગત વર્ષે 2021-22માં બેરોજગારીનો દર લગભગ પાંચ ટકા વધ્યું છે. સરકારી ભરતીઓમાં અનેક ગેરરીતિઓ અને વિલંબની વચ્ચે વિદ્યાર્થીઓ પણ બેરોજગારી માટે સરકારને દોષિત માને છે.
જિલ્લામાં 2011ની વસતી પ્રમાણે 21 લાખ લોકોની વસતી છે. યુવાનોની વધતી સંખ્યા સાથે ગ્રેજ્યુએટ થતાં યુવાનોની સંખ્યામાં પણ વધારો થયો છે. જિલ્લામાં છેલ્લા બે દાયકામાં મહાવિદ્યાલયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ વધારો થયો છે પણ સ્નાતક થતાં લોકોને મળતી સરકારી નોકરીઓ ઓછી થઈ છે. ખાનગી નોકરીઓમાં પણ તળિયાનો પગાર મળતું હોવાથી ખાનગી નોકરી ઓછી પસંદ કરે છે.
જિલ્લામાં ચાલુ વર્ષ 2021-22 મુજબ 13,400 લોકોએ બેરોજગાર તરીકે જિલ્લા રોજગાર કચેરીમાં નામની નોંધણી કરાવી છે. આમાંથી 11,535 લોકો શિક્ષિત બેરોજગાર છે. ગત વર્ષે જિલ્લામાં 12,785 લોકો સરકારી ચોપડે બેરોજગાર તરીકે નોંધાયા હતા જેમાં આ વર્ષે 4.81 ટકાનો વધારો થયો છે. 2016માં આ આંકડો 14,857 લોકો બેરોજગાર નોંધાયા હતા, 2017માં 13,622, 2018માં 11,819 તો 2019માં 13,956 લોકો બેરોજગાર તરીકે સરકારી ચોપડે નોંધાયા હતા.