કચ્છમાં ઉનાળા પૂર્વે સૂકા ઘાસચારાના ભાવમાં ભડકો : એક મણ પરાળના ૪૦૦ રૂપિયા
ગત ચોમાસામાં કચ્છમાં પડેલા અપુરતા વરસાદની અસર દેખાવા માંડી છે. પુરતા વરસાદના અભાવે જિલ્લાના મોટા ભાગના ડેમ તળાવોના તળિયા દેખાતા થયા છે. કચ્છમાં ઉનાળા પૂર્વે સૂકા ઘાસચારાની માંગમાં પણ વધારો થયો છે.
પશુપાલકો મોટાભાગે ઉનાળા પૂર્વે ઘાસચારાની ખરીદી કરતા હોય છે જેથી હાલના સમયે બાજરી, પરાળ સહિતના સૂકા ઘાસચારાની માંગ ઉઠી છે તો બીજીતરફ સુકા ઘાસચારાના ભાવમાં ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે. પશુઓને જીવાડવા જરૂરી હોવાથી જિલ્લાના પશુપાલકો સૂકા ઘાસના વધુ ભાવ ચૂકવવા માટે મજબૂર બન્યા છે. અન્ય ઘાસચારાનો ભાવ પણ આસમાને પહોંચતાં પશુપાલન સાથે સંકળાયેલા પરિવારોમાં નારાજગી જોવા મળી રહી છે. સૂકુ ઘાસ જે રૂ.૧૫૦માં ૨૦ કિલોગ્રામ મળતું હતું.તેનો ભાવ વધીને આજે રૂ.૨૦૦એ પહોંચી ચૂક્યો છે.
અદાણી ગ્રીન પાવરના કર્મી વિરુદ્ધ પોલીસ ફરીયાદ, વીજ લાઇન નાખવા દરમ્યાન મહિલાને માર માર્યાનો આક્ષેપ
કચ્છમાં પશુપાલનનો વ્યવસાય સતત વધી રહ્યો છે. તેની સામે ઘાસચારાનું ઓછું વાવેતર થતું હોવાથી દર વખતે ઉનાળામાં સૂકા ઘાસચારો મેળવવા માટે પશુપાલકો દોડધામ કરતા હોય છે. હજુ ઉનાળો વિધિવત રીતે શરૂ થયો નથી પરંતુ અનેક વિસ્તારોમાં સૂકા ઘાસચારા માટે ખેડૂતોએ દોડધામ શરૂ કરી છે. સૂકા ઘાસની માંગ શરૂ થતાં તેની સીધી અસર હવે ભાવ ઉપર દેખાઈ છે. લીલી મકાઈ ઘાસ કે જેનો ભાવ ૨૦ કિલોનો રૂ.૩૦થી રૂ. ૪૦ ની આસપાસ હતો. તેનો ભાવ અત્યારે વધીને રૂ.૫૦ થી રૂ. ૭૦ની આસપાસ પહોંચી ચૂક્યો છે. સૂકા ઘાસના પૂળાના ભાવમાં વધારો થયો છે. હાલ એક પૂળાનો ભાવ રૂ. ૨૫ થી ૩૦ સુધી પહોંચી ચૂક્યો છે. વર્તમાનમાં કચ્છમાં ચોખાનો ખડ(ઘાસચારો) તેમજ ઘઉંના પરાળની માંગ છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ઘઉંની પરાળના મણના ૫૦૦ રૂપિયા વસુલાય છે.