બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હોવાની ભુજ જેલ અધિક્ષક સામે નાઈજિરીયન મહિલાની ફરિયાદ
ભુજની પાલારા જેલમાં બંધ નાઈજીરીયન મહિલા કેદીએ જેલ અધિક્ષક રાજેન્દ્રસિંહ રાવ વિરૂધ્ધ જાતીય શોષણનો આક્ષેપ કર્યો છે. આ અંગે હાઈકોર્ટમાં ફરિયાદી મહિલાના વકીલ દિલિપભાઈ જોશીએ કેસ દાખલ કરાવ્યો છે. ગત તા. ૨૩/૧૦/૨૦૨૧ના ભુજ આવેલ નાઈજિરીયન મહિલાએ પાસપોર્ટ વગર ભારતમાં નિયમ વિરૂધ્ધ રોકાણ કર્યુ હોઈ તેણીની ધરપકડ કરાઈ હતી.
મહિલા વિદેશી હોઈ પહેલાં તેમને ભુજના જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં મોકલાયા બાદ ભુજની પાલારા જેલમાં ટ્રાન્સફર કરાયા હતા. ભુજ જેલમાં બંધ આ મહિલા કેદીએ પરિવાર સાથે ફોન ઉપર વાત કરવા જેલના મહિલા કર્મી પાસે મદદ માંગતા આ મહિલા કર્મીએ જો તે જેલ અધિક્ષકને ખુશ કરે તો ફોન આપવા કહ્યુ હોવાનો આરોપ ફરિયાદમાં મુકયો છે.
દરમિયાન અન્ય જેલ કર્મીઓએ પણ આવું દબાણ કર્યુ હોવાનો આક્ષેપ કરી નાઈજીરીયન મહિલાએ જણાવ્યુ છે કે, ૫ એપ્રિલ ૨૦૨૨ના રાત્રે ૧૦ વાગ્યે જેલ અધિક્ષક રાજેન્દ્રસિંહ રાવ તેની બેરેકમાં આવ્યા હતા અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. હાઈકોર્ટે આ ફરિયાદ દાખલ કરી છે.
દરમિયાન જેલ અધિક્ષક રાજેન્દ્રસિંહ રાવે આ બાબતને ષડયંત્ર ગણાવી મહિલા બેરેક સુધી એકલી વ્યકિત જઈ શકે એ શક્ય ન હોવાનું જણાવ્યુ હતું.