જંગી ગામે નીલગાયને ગોળીથી વિંધી નખાઇ, તંત્રની ટીમ મોડી આવતાં મોત
ભચાઉ તાલુકાના જંગી ગામે અજ્ઞાત શિકારીઓ દ્વારા નીલગાયને બંદૂકની ગોળી મારી ઘાયલ કરવામાં આવી હતી પણ વનવિભાગની ટીમ 3 કલાક મોડી આવતા ઘાયલ નીલગાયનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગતો મુજબ, જંગી ગામમાં ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં રોઝ મળી આવતા ગામના જાગૃત લોકો દ્વારા વન વિભાગમાં જાણ કરવામાં આવી હતી.જેથી જંગલખાતાની ટુકડીએ આવીને તપાસ કરતા લોહીલુહાણ હાલતમાં રોઝનો મૃતદેહ મળી આવ્યો હતો.જેથી તેને પોસ્ટમોર્ટમ માટે ભચાઉ ખાતે લઇ જવામાં આવ્યો છે.
ગામના ખીમા રબારીએ જણાવ્યું હતું કે, રોઝને બંદૂકની ગોળીથી ઘાયલ કરવામાં આવ્યો હતો જેથી તેના શરીરમાં ગોળીના નિશાનમાંથી લોહી નીકળી રહ્યું હતું ત્યારે વન વિભાગને અગિયાર વાગે જાણ કરી હતી પણ તે 2 વાગે પહોંચતા તડપી તડપીને નીલગાયનું મોત થઇ ગયું હતું ઉલ્લેખનીય છે કે,જંગીના સીમાડામાં બહારથી આવતા શિકારીઓ દ્વારા અવારનવાર આવી ઘટનાને અંજામ આપવામાં આવે છે ત્યારે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.