કચ્છથી નીકળેલી ST બસને હળવદમાં અકસ્માત નડતાં ગાંધીધામના એક સહિત પાંચ ઈજાગ્રસ્ત
સોમવારે વહેલી સવારે અમદાવાદ હાઈવે પર આવેલ હળવદ તાલુકાના સુખપર ગામના પુલ નજીક એસટી બસ અને ટેમ્પા વચ્ચે ગંભીર અકસ્માત (ST Bus accident) સર્જાયો હતો. હાઇવે પર અકસ્માત થતાં બસમાં મુસાફરી કરતા કુલ પાંચ લોકોને ઈજા પહોંચી હતી જે કારણે તેમને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ સોમવારની વહેલી સવારે કચ્છ જિલ્લાના ભુજ મથકેથી નીકળેલી ભુજ-અમદાવાદ રૂટની એસ.ટી. બસને હળવદ પાસે અકસ્માત નડયો હતો. હાઇવે પર ટેમ્પો ટ્રક સાથે અકસ્માત થતાં બંને વાહનોમાં ભારે નુકસાની થઈ હતી તો સાથે જ બસમાં મુસાફરી કરતા પાંચ પેસેન્જરને ઈજાઓ પહોંચી હતી.
પૂર્વ કચ્છના ગાંધીધામના રહેવાસી આતાભાઇ રામભાઇ વાઘ સહિત પાંચ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ગાંધીધામના રહેવાસી ઉપરાંત રતનપરના મેહુલભાઈ કીરીટભાઈ રાવલ અને તેમના પત્ની સપનાબેન રાવલ, માંડલના અપેક્ષાબેન ઓઝા, મહેસાણાના સોહિલહુસેન સાબર હુશૈન શેખ અને રાજકોટના ગૌરવભાઈ જયંતિભાઈ ભાસ્કરને ઈજાઓ પહોંચી હતી.