આજના દિવસને ભાજપે રાષ્ટ્રની લોકશાહી પરંપરાનો કલંકિત ઇતિહાસ ગણાવી વખોડ્યો
રાષ્ટ્રની લોકશાહી પરંપરાનો કલંકિત ઇતિહાસ, કાળો અધ્યાય ‘કટોકટી દિવસ’ સંદર્ભે આજરોજ ગાંધીનગર મહાનગર અને જિલ્લા ભાજપા ની સંયુક્ત પત્રકાર પરિષદ હોટલ ગ્રાન્ડ વિનાયક, મહારાષ્ટ્ર ભવન, સેક્ટર 21 ખાતે યોજાઈ ગઈ હતી. જેમાં મહાનગર ભાજપા અધ્યક્ષ ઋચિર ભટ્ટ અને જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલભાઈ પટેલે સંબોધન કર્યું હતું. આજની આ પ્રેસવાર્તામાં મહાનગરના મેયર હિતેશ મકવાણા, મહાનગર ભાજપા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર મહાનગર ભાજપા અધ્યક્ષ ઋચિર ભટ્ટે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજની નવી પેઢીને તે સમયે દેશવાસીઓ પર થયેલ દમન વિશે ઓછી જાણકારી હોય તે સ્વાભાવિક છે. કોંગ્રેસ જ્યારે આજે રાજકીય રોટલા શેકવા Freedom of Speech અને Freedom of Expression નો ઝંડો લઈને નીકળી પડે છે ત્યારે આજના નવયુવાનોને અવગત કરાવવા જરૂરી છે કે આ એ જ કોંગ્રેસ છે કે જેણે દેશના તમામ નાગરિકોના બંધારણીય હકો છીનવી હજારો દેશવાસીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા, સરકાર વિરુદ્ધ સુદ્ધાં કઈ બોલવાની કે લખવાની આઝાદી છીનવી લેવામાં આવી હતી.
ઋચિર ભટ્ટે જણાવ્યું હતું કે, કટોકટી દરમિયાન અખબારો ઉપર સેન્સર્શિપ લાદવામાં આવી, વાણી સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું. એકહથ્થુ સત્તાની ભૂખ અને મદમાં ઉન્મત ઇન્દિરા ગાંધીએ દેશના સ્વાતંત્ર્ય માટે લડનારા અનેક નેતાઓને મહિનાઓ સુધી જેલમાં ધકેલી દીધા હતા અને તેમના પરિવારો પર પણ અમાનુષી સિતમ ગુજારવામાં આવ્યો હતો. જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ આડવાણી સહિત જનસંઘના અનેક નેતાઓ અને દેશવાસીઓને રાજકીય હિતો સાધવા મહિનાઓ સુધી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા અને તેઓએ હસતા મુખે દેશની લોકશાહીના રક્ષણ માટે કારમી પીડા ભોગવી હતી. આજના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તે સમયે વેશપલટો કરી ઇન્દિરા સરકારની અમાનુષી અત્યાચારની હકીકતો જનતા સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું.
તેમણે જણાવ્યું કે દેશની લોકશાહી માટે કલંક સમાન કટોકટીની ઘટનાના તથ્યો ઉજાગર કરવા ભાજપા સંગઠન દ્વારા રાજ્યવ્યાપી પ્લેકાર્ડ દર્શાવી અને કટોકટી વિરોધી નારા લગાવીને વિરોધ નોંધાવવાના કાર્યક્રમો આજરોજ યોજાવાના છે.
આ પ્રસંગે જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલ પટેલે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રની એકતા અને આંખડીતતા તેમજ લોકતંત્રની રક્ષાના સિદ્ધાંતોને લઈને દેશની રાજસનતીમાં કાર્યરત રાજકીય પાર્ટી છે. ભાજપાના કાર્યકરો માટે પાર્ટી કરતા દેશનું હિત વધારે મહત્વનું રહ્યું છે. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ મંત્રીમંડળની પરવાનગી વગર દેશમાં કટોકટી જાહેર કરી હતી અને દેશને જેલખાનું બનાવી દેવામાં આવ્યો હતો. કટોકટી નો સમય એ દમનનો સમય હતો, શોષણનો સમય હતો. મીડિયા પર પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા હતા, દેશનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતું. દેશભરમાંથી હજારો કાર્યકરો જેમાં ભારતીય જનસંઘ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ બિનપક્ષીય સામાજિક કાર્યકરોને કોંગ્રેસના દિશાદર્શન હેઠળ જેલભેગા કરવામાં આવ્યા હતા.
અનિલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કટોકટી સમયે દેશની લોકશાહીની રક્ષા માટેના આંદોલનમાં ગુજરાત દેશને દિશા આપનારુ રાજ્ય બન્યું હતું અને અનેક નેતાઓને આશરો આપ્યો હતો. તે સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે કાર્ય કરતા નરેન્દ્ર મોદી સહિત અનેક યુવાનોએ પોતાના નામ બદલીને વેશ પલટો કરીને લોકશાહીની રક્ષા માટે લડત આપી હતી. ગુજરાત પ્રદેશ જનસંઘના સંગઠન મહામંત્રી સ્વ. નાથાભાઈ ઝગડા અને નરેન્દ્ર મોદીએ દેશમાં લોકશાહીના મૂલ્યોના જતન માટે પોલીસની નજરથી બચતા રહીને બેઠકો પત્રિકાઓ અને આયોજનનો હવાલો સંભાળીને દેશમાંથી કટોકટી હટાવવા માટે પરિશ્રમ કર્યો હતો. કટોકટીનો કાળ દેશવાસીઓ માટે અગ્નિપરીક્ષાનો હતો.