ખંભાળિયા બેઠક પર આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીની હાર, દ્વારકા બેઠક પર પબુભા માણેકની જીત
ગુજરાતમાં કૉંગ્રેસને ભારે નુકસાન થયું છે. તો આમ આદમી પાર્ટી નફામાં છે. જો કે, આમ આદમી પાર્ટીએ જેને પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા તે ઈસુદાન ગઢવીએ ખંભાળિયા બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. ખંભાળિયા બેઠક પર ભાજપના મુળુભાઈ બેરાની જીત થઈ છે. અહીં કૉંગ્રેસના સીટીંગ MLA વિક્રમ માડમ પણ હાર્યા છે. જ્યારે દ્વારકા બેઠક પર પબુભા માણેકની સતત આઠમી જીત થઈ છે. અહીં કૉંગ્રેસના મુળુ કંડોરિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. દ્વારકા જિલ્લાની બંને બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભલે હાર્યા હોય પણ નોંધપાત્ર મત મેળવવામાં સફળ રહ્યા છે.
કઈ બેઠક પર કેટલા રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે?
દેવભૂમિ દ્વારકા જિલ્લાની બંને વિધાનસભાની મત ગણતરી ખંભાળિયાની SNDT હાઈસ્કૂલમાં હાથ ધરાશે. બંને બેઠકોની મતગણતરી માટે 14 રાઉન્ડ હાથ ધરાશે.
જિલ્લાની બે બેઠક પર થયું છે 61.75 ટકા સરેરાશ મતદાન
દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા અને ખંભાળિયા બેઠક પર કુલ 5 લાખ 95 હજાર 257 મતદારો નોંધાયેલા છે. જેમાંના 3 લાખ 67 હજાર 591 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 2017માં અહીં સરેરાશ 59.81 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે 2022માં અહીં મતદાનમાં બે ટકાનો વધારો જોવા મળ્યો હતો. અહીં 2022માં 61.75 ટકા મતદાન નોંધાયેલું છે. જિલ્લાની બંને બેઠક વાઈઝ 2017 અને 2022માં થયેલા મતદાનના આંકડા નીચે મુજબ છે.
બેઠક | 2017 | 2022 |
ખંભાળિયા | 60.33% | 62.42% |
દ્વારકા | 59.28% | 61.06% |
સરેરાશ | 59.81% | 61.75% |
જિલ્લામાં બેઠક વાઈઝ કેટલા ઉમેદવારો મેદાનમાં હતા?
ખંભાળિયા
આમ આદમી પાર્ટીએ જેને મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કર્યા છે એવા ઈસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હોય આ બેઠક હાઈ પ્રોફાઈલ બની છે. અહીં ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિત 11 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ખંભાળિયા બેઠક પર 1995થી 2012 સુધી ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. 2017માં કૉંગ્રેસના વિક્રમ માડમે અહીં જીત મેળવી હતી. આ બેઠક પર મોટાભાગે આહીર સમાજના ઉમેદવાર જીતતા આવ્યા છે. 2022ના ચૂંટણી જંગમાં પણ ભાજપ અને કૉંગ્રેસે અહીં આહીર સમાજના ઉમેદવારોને ટિકિટ આપી હતી. ભાજપે જૂના જોગી મુળુભાઈ બેરાને ટિકિટ આપી હતી. તો કૉંગ્રેસ સીટીંગ MLA વિક્રમ માડમને રિપિટ કર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીનું ખંભાળિયા વતન હોય તે અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર છે. આ બેઠક પર સતવારા અને મુસ્લિમ મતદારો નિર્ણાયક સાબિત થશે.
દ્વારકા
દ્વારકા બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. અહીં ભાજપે સીટીંગ MLA પબુભા માણેકને રિપિટ કર્યા છે. તો કૉંગ્રેસે મેરામણ આહિરના બદલે મુળુભાઈ કંડોરિયાને ટિકિટ આપી છે. જેના કારણે નારાજ થયેલા મેરામણ ગોરિયા કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. અહીં હિન્દુ વાઘેર, આહીર સમાજ સિવાય સતવારા સમાજના મતદારોની સંખ્યા નોંધપાત્ર હોય આમ આદમી પાર્ટીએ અહીં સતવારા સમાજમાંથી આવતા લખમણભાઈ નકુમને ટિકિટ આપી હતી. દ્વારકા બેઠક એવી બેઠક છે કે, અહીં 1990થી 2017 સુધીમાં યોજાયેલી 7 ચૂંટણીમાં પબુભા માણેકની જીત થતી આવી છે. પબુભા આ બેઠક પર ત્રણ વાર અપક્ષ, ત્રણ વાર ભાજપ અને એક વાર કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા છે. 2022માં પબુભા માણેકની આઠમી ચૂંટણી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે બેઠકો પર 2017માં યોજાયેલી ચૂંટણીમાં દ્વારકા બેઠક ભાજપને મળી હતી તો ખંભાળિયા બેઠક કૉંગ્રેસના ફાળે ગઈ હતી. બંને બેઠક પર ભાજપ અને કૉંગ્રેસે પોતાના સીટીંગ MLAને રિપિટ કર્યા છે. દ્વારકા બેઠક પર 2017માં પબુભા માણેકે કૉંગ્રેસના મેરામણ ગોરિયાને હાર આપી હતી. તો ખંભાળિયા બેઠક પર કૉંગ્રેસના વિક્રમ માડમે ભાજપના કાળુભાઈ ચાવડાને હાર આપી હતી.