Gujarat ના સીએમ તરીકે વિજય રુપાણીએ અને ડેપ્યુટી સીએમ પદેથી નીતિન પટેલે રાજીનામું આપ્યું
Gujarat વિધાનસભાનું રાજ્યપાલ ઓપી કોહલીએ ગઈકાલે સાંજે વિધાનસભા વિસર્જનનો પરિપત્ર બહાર પાડ્યો હતો અને ગુજરાત વિધાનસભાનું વિસર્જન કર્યું છે. જેના પગલે ગુજરાતના સીએમ તરીકે વિજય રુપાણીએ અને ડેપ્યુટી સીએમ પદેથી નીતિન પટેલે રાજીનામું આપ્યું છે. સીએમ વિજય રૂપાણીએ સમગ્ર મંત્રીમંડળ સાથેનું રાજીનામું રાજભવન ખાતે રાજ્યપાલ ઓપી કોહલીને સુપત્ર કર્યું હતું. જો કે વિજય રૂપાણી હાલ કાર્યકારી સીએમ તરીકે ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે , ગુજરાતમાં ભાજપે પાતળી બહુમતી મેળવી છે. જેના પગલે હવે ભાજપે પણ સરકાર રચનાની કવાયત હાથ ધરી છે. જેમાં ૨૨ ડિસેમ્બરના રોજ વિજેતા ધારાસભ્યોની બેઠક યોજાવવાની છે. આ બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ પર યોજાશે , જેમાં નિરીક્ષક અરુણ જેટલી અને સરોજ પાંડેના નેતૃત્વમાં બેઠક યોજવામાં આવશે તેમાં ગુજરાતના સીએમના નામ પર આખરી મહોર મારવામાં આવે તેવી શક્યતા છે.
ગુજરાતમાં હાલમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જો કે તેમના નેતુત્વમાં ભાજપને ૧૫૦ બેઠક મળી શકી નથી. તેથી ભાજપ હવે ગુજરાતમાં નેતુત્વ પરિવર્તનના મુડમાં હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
જો કે સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઓછી બેઠકો મળી છે. જેના પગલે ભાજપે લોકસભા ૨૦૧૯ માટે આ વિસ્તારમાં વધુ મહેનત કરવાની જરૂર છે. તેના પગલે આ જ ઝોનમાંથી મુખ્યમંત્રીની પસંદગીને ટાળી શકે તેમ છે. તેમજ જો પટેલ મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો હાર્દિક પટેલનું આંદોલન ફરી એકવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે.
જો કે આ બધા વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે વિજય રૂપાણી, નીતિન પટેલ, મનસુખ માંડવીયા, પુરશોતમ રૂપાલા અને હાલ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, ગણપત વસાવા અને જીતુ વાઘાણીનું નામ પણ ચર્ચામાં છે.
જો કે નામ પર આખરી મહોરમાં દિલ્હીમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જ મારવામાં આવશે. આ ઉપરાંત ભાજપ માટે હવે વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચુંટણી પણ મહત્વની છે તે અંગે ચર્ચા વિચારણા કરીને જ મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ નક્કી કરવામાં આવશે તે પણ ચોક્કસ છે.