જામનગરમાં રખડતાં 2 હજાર ગૌવંશને રાતા તળાવની પાંજરાપોળમાં આશ્રય
જામનગર મહાનગરપાલિકા દ્વારા પકડી પાડવામાં અાવેલા રખડતા 2000 ગૌવંશને અબડાસા તાલુકાના રાતા તળાવ ખાતે કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ સંચાલિત પાંજરાપોળમાં મૂકવામાં અાવ્યા છે, જયાં તે તમામ પશુઅોનો કાયમી નિભાવ કરાશે.
રાતા તળાવ ખાતે હજારોની સંખ્યામાં નિરાધાર ગાૈવંશનો નિભાવ કરાય છે, ત્યારે રાતાતળાવના વિકાસ અને સેવાકાર્યો અર્થે કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મડળના સંસ્થાપક મનજી ભાનુશાલી, સંસ્થાના સેવકો ગુજરાતના પ્રવાસ પર છે. તેઓ જામનગર પહોંચ્યા ત્યારે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન મનીષ કટારિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો. સંસ્થાના હેમરાજ ખાનિયા વગેરેઅે રક્તદાન કર્યું હતું. મનજીભાઇએ કચ્છી ભાનુશાલી મહાજન સરોવ૨ ટ્રસ્ટ-જામનગર અને ભાનુશાલી ગ્રૂપને શુભેચ્છા પાઠવી હતી. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ આવા નિરાધાર ગૌવંશના સુવ્યવસ્થિત પાલન માટે વિચારોની આપ-લે કરાઇ હતી અને ત્યારબાદ જે.એમ.સી.ના કમિશનર, નાયબ કમિશનર, મેયર, સ્ટે. કમિટીના ચેરમેન, મહાપાલિકાના ચૂંટાયેલા સભાસદોઅે સંસ્થા વતી રાતા તળાવના મોવડીનું સન્માન કરી સેવાધામ રાતા તળાવની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. વિશેષમાં જામનગરના પ્રવાસ દરમ્યાન ભાનુશાલી ગ્રૂપ દ્વારા સેવાધામ-રાતા તળાવ ખાતે કરાતી ગાૈસેવાના લાભાર્થે જામનગરમાં લોકડાયરાનું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.