પાટીદાર પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈની થઈ શકે ધરપકડ, શરદ ધાનાણીને પકડવા પોલીસ ટીમની કવાયત

Contact News Publisher

બે દિવસ પહેલા રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજ અંગેની પત્રિકા વાયરલ થઈ, જેને લઈને હવે રાજકારણની ગરમીનો પારો ચઢી ગયો છે. આ સમગ્ર મામલે પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી એ પછી પોલીસે તપાસ હાથ ધરી હતી અને પાંચ લોકોની અટકાયત કરી તેઓની પૂછપરછ હાથ ધરી છે. ત્યારે હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ મામલે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં લેઉવા પટેલ સમાજની પત્રિકા વાયરલ થવા મુદ્દે શહેર ભાજપ પ્રમુખ મુકેશ પટેલે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા લેઉવા પાટીદાર સમાજના 5 યુવકોની અટકાયત કરી હતી. અટકાયતને લઈને કોંગ્રેસના લેઉવા પાટીદાર આગેવાનો ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા હતા. જ્યાં યુવકોની ગેરકાયદેસર રીતે અટકાયત કરાઈ હોવાના કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યા હતા.

રાજકોટમાં ભાજપે આ મામલે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. લેઉવા-કડવા પટેલ વચ્ચે વેમનસ્ય ફેલાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો, સોશિયલ મીડિયાનાં માધ્યમથી વૈમનસ્ય ફેલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસનાં ઉમેદવારનાં સમર્થનમાં લેઉવા પટેલ સમાજને ઉશ્કેરવાનો આરોપ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર સમક્ષ જવાબદારો સામે તાત્કાલિક પગલા લેવા માંગ કરાઈ છે. સોશિયલ મીડિયામાં જાગો લેઉવા પટેલ જાગો શીર્ષક હેઠળની પત્રિકા વાયરલ થઈ હતી. ભાજપ નેતા ભરત બોઘરાએ આ મામલે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે નીતિ નથી તેથી પરસ્પર વૈમનસ્ય ઉભું થાય છે. કોંગ્રેસ જ્ઞાતિ, જાતિ અને ધર્મ વચ્ચે વેરઝેર કરાવે છે. કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે. જે લોકો ખોટું કરે છે તેને ભોગવવું પડશે પછી ગમે તે સમાજનાં હોય.