સાઇડ ઇફેક્ટ્સ પર સવાલો ઉઠતા AstraZenecaનો મોટો નિર્ણય: વિશ્વભરમાંથી પરત મંગાવી કોરોના વેક્સિન, જણાવ્યું આ કારણ
આડઅસરોને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નો વચ્ચે AstraZeneca-Oxford Covid-19 રસી કંપનીને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, કંપનીએ બજારમાંથી તેની રસી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું છે કે, તે યુરોપમાંથી વેક્સજાવેરિયા (કોવિડ વેક્સીન)ની રસી પાછી ખેંચી લેવાની સાથે આગળ વધશે. જોકે એસ્ટ્રાઝેનેકાએ રસી પાછી ખેંચી લેવાનું અલગ કારણ આપ્યું છે. કંપનીનું કહેવું છે કે, રોગચાળા પછી જે રીતે કોવિડ રસી સપ્લાય કરવામાં આવી હતી બજારમાં જરૂરિયાત કરતાં વધુ રસી હતી. તેથી કંપનીએ રસી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે.
AstraZeneca-Oxford Covid-19 રસી કંપનીએ કહ્યું કે, જ્યારથી ઘણા પ્રકારની કોવિડ-19 વેક્સીન બજારમાં આવી છે. ત્યારથી AstraZeneca રસીની માંગમાં ઘટાડો થયો છે. તેનું ઉત્પાદન અને નિકાસ પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર કંપનીએ 5 માર્ચે રસી પાછી ખેંચવા માટે અરજી કરી હતી. આ વાત 7 મેના રોજ પ્રકાશમાં આવી હતી. તાજેતરમાં એંગ્લો-સ્વીડિશ ફાર્માસ્યુટિકલ ઉત્પાદકે બ્રિટિશ હાઈકોર્ટમાં પ્રથમ વખત સ્વીકાર્યું કે તેની કોરોના રસી લોહીના ગંઠાવા અને લો પ્લેટલેટ્સ જેવી આડઅસરો પેદા કરી શકે છે.
જાણો કેવી સમગ્ર મામલો સામે આવ્યો ?
આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે AstraZenecaએ બ્રિટિશ હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે, તેની કોવિડ-19 રસી થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) જેવી આડઅસર પેદા કરી શકે છે. થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમને કારણે શરીરમાં લોહીના ગંઠાવાનું શરૂ થાય છે અથવા શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં લોહી ગંઠાઈ જવાને કારણે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે. ભારતમાં આ AstraZeneca રસી અદાર પૂનાવાલાની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી હતી. કંપનીએ આ રસી કોવિશિલ્ડના નામથી બજારમાં ઉતારી હતી. આ રસી ભારતમાં કરોડો લોકોને આપવામાં આવી હતી.