રમજાન માસમાં આંતકીઓ વિરૂધ્ધ કાર્યવાહી બંધ કરવા મૂફ્તીએ આપી સલાહ અને આતંકવાદીઓએ ભાજપના કાર્યકરની કરી હત્યા.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ શનિવારના રોજ કેન્દ્ર સરકારને રમઝાનમાં સિક્યોરિટી ફોર્સ દ્વારા ચલાવવામાં આવતા સર્ચ ઓપરેશનને બંધ કરવાની અપીલ કરી. સાથો સાથ આતંકીઓને પણ આ પવિત્ર મહિનામાં કોઈ હુમલો ન કરવાની વાત કરી છે.જો કે આ અપીલના થોડાં કલાકોમાં જ આતંકીઓએ ભાજપના કાર્યકર્તા ગુલ મોહમ્મદ મીરને દક્ષિણ કાશ્મીરના નૌગામમાં ગોળી મારી હત્યા કરી દીધી હતી. સિક્યોરિટી ફોર્સે આ વિસ્તારને ઘેરી લીધો છે. ભાજપના કાર્યકર્તાની હત્યા થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુલ મોહમ્મદ મીરની હત્યાની આકરી નીંદા કરી છે. જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીને મજબૂત કરવાની દિશામાં તેમનું યોગદાન હંમેશા યાદ કરાશે. આપણા દેશમાં આવી હિંસા માટે કોઇ જગ્યા નથી. તેમના પરિવાર અને શુભચિંતકો પ્રત્યે મારી સંવેદના. ઉલ્લેખનીય છેકે કેન્દ્ર સરકારે ગયા વર્ષે રમઝાનમાં સીઝફાયરની જાહેરાત કરી હતી. મહેબૂબાની ઈચ્છા છે કે સરકાર આ વખતે પણ આવી જાહેરાત કરે.
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, રમઝાન માસ શરૂ થવાનો છે. લોકો દિવસ-રાત દુઆ કરવા માટે મસ્જિદ જતા હોય છે. હું અપીલ કરું છું કે સરકાર ગત વર્ષની જેમ દરોડા અને સર્ચ ઓપરેશન બંધ રાખે. જેનાથી જમ્મુ કાશ્મીરના લોકોને એક માસ સુધી રાહત મળી શકે. 2018ની સાલમાં રમઝાનમાં સીઝફાયરની જાહેરાત પછી આતંકી હુમલામાં વધારો થયો હતો. ગયા વર્ષે રમઝાનમાં 66 હુમલાઓ થયા હતા જેમાં 17 જવાન શહીદ થયા હતા. તો જવાબી કાર્યવાહીમાં 22 આતંકીઓને ઠાર કર્યા હતા.