કચ્છમાં પતિ પત્નિ વચ્ચે કલેશ સંતાનોનો ડીએનએ ટેસ્ટ કરવા હાઇકોર્ટમાં માંગ
ગાંધીધામના દંપતીના આંતરિક દામ્પત્ય જીવનનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જેમાં, પતિ રમેશ મરંડે પોતાની પત્નિના ચારિત્ર્ય ઉપર શંકા ઉઠાવીને ચોંકાવનારી રજુઆત કરીને હાઇકોર્ટ પાસે પોતાના સંતાનોના જન્મદાતા પિતા અંગે સવાલ ઉઠાવ્યો છે.
આ રજુઆતમાં પતિ રમેશ મરંડે હાઇકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, પોતે પત્નિ સાથે શારીરિક સબંધો બાંધ્યા જ નથી છતાંયે તેમની પત્નિએ બે સંતાનોને જન્મ આપ્યો છે. એટલે પોતાના બન્ને સંતાનો અને પત્નિનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે. અરજદાર રમેશ મરંડ વતી તેમના વકીલ શરદ મહેતાએ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ૬ વર્ષ અગાઉ પોતે પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવા માટે અરજી કરી હતી. પત્નિના અન્ય વ્યકિત સાથે અનૈતિક સંબંધો છે. દરમ્યાન બે બાળકોનો જન્મ પણ થયો હોઈ અનૈતિક સંબંધોને સાબિત કરવા ડીએનએ ટેસ્ટ જરૂરી છે. જે દ્વારા સ્પષ્ટ થઈ શકશે પત્નિ વ્યભિચારી છે કે નહીં? જોકે, હાઇકોર્ટે ડીએનએ ટેસ્ટ કરવા શરતી મંજૂરી આપી છે. જેમાં ૧ લાખ રૂપિયા ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવા તેમ જ પત્નીની મંજૂરી લેવી, જો પત્નિ ડીએનએ ટેસ્ટ માટે ના પાડે તો સંયોગિક પુરાવાના આધારે તપાસ કરવી. પતિએ પણ ડીએનએ ટેસ્ટ કરાવવો. જો, પતિનો આક્ષેપ ખોટો સાબિત થાય તો પતિએ પત્નિને એક લાખ રૂપિયા આપી દેવા. પણ, જો પતિ સાચો પડે તો તેને ૧ લાખ રૂપિયા પરત મળશે.