કચ્છના અન્ય બંદરોની સરખામણીએ જખૌના માછીમારો સાથે થતું અણમાનીતું વર્તન
મત્સય વિભાગ દ્વારા માછીમારોના વિકાસ માટે કરોડો રૂપીયા ગ્રાન્ટ દર વર્ષે ખર્ચ કરવામાં આવે છે. વર્ષ 2018-19માં 95.79 લાખ રૂપીયા ગ્રાન્ટ મળી જેમાંથી વિભાગ દ્વારા 95.06 લાખ રૂપીયા ગ્રાન્ટ 11 યોજનાઓ હેઠળ માછીમારોના વિકાસ માટે વપરાઇ છે. તો માર્ચ-2018થી નવેમ્બર માસ સુધી 32 લાખની ગ્રાન્ટ માછીમારોની સુવિધા માટે ખર્ચ કરાઇ છે. અન્ય બંદરોની સરખામણીએ જખૌ બંદર સાથે અણમાનીતુ વર્તન કરાતું હોવાનું જાણવા મળેલ છે.
જખૌને બદલે અન્ય બંદરો પરના માછીમારોને સુવિધા આપવામાં આવે છે તેવું જાણવા મળ્યું છે. એક તરફ જખૌ બંદરે સૌથી વધુ માછીમારી થાય છે અને લાખો રૂપીયાની માછીમારી જયારે થઇ રહી છે તેની સામે માછીમારોને જોઇએ તેટલી સુવિધા નથી મળતી. અન્ય બંદરો પર મોટા આઇસ બોક્સ તેમજ અનેક સવલતો પાછળ ગ્રાન્ટ ખર્ચાય છે પણ જખૌ બંદર પરના માછીમારો પાછળ ગ્રાન્ટ ખર્ચ કરવામાં ઠાગાઠૈયા કરાઇ રહ્યા છે.
જખૌના માછીમારોને અપાતી સુવિધાઓમાં ખાયકી થઇ ન શકે તે માટે તેમના પાછળ ઓછી ગ્રાન્ટ ખર્ચ કરવામાં આવે છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યું હતું. જખૌમાં 20 કરોડના ખર્ચે તૈયાર થયેલી પાણીની યોજના હાલ કાંટ ખાઇ રહી છે, તો પાણીના ટાંકા, સમ્પ સહિતની પાણી યોજનાની વસ્તુઓ કાંટ ખાઇ રહી છે.