કચ્છના વહીવટીતંત્ર દ્વારા કરાઇ મહત્વની જાહેરાત
ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાર યાદીની સુધારણા, તેમ જ નવા મતદારોને દાખલ કરવાની કામગીરી સોમવાર તા/૧૬/૧૨ થી તા/૧૫/૧ થી કચ્છમાં આરંભ કરાશે. ભુજ મધ્યે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી રવિવાર તા/૨૨/૧૨/૧૯, તા/૫/૧/૨૦, તા/૧૨/૧/૨૦ કચ્છના તમામ મતદાન મથકોએ બીએલઓ સવારના ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી હાજર રહીને મતદાર યાદી અંગેના તમામ કામ કરશે. તાજેતરમાં જ કચ્છમાં જે પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકતા અપાઈ છે, તેઓ હવે ચૂંટણીકાર્ડ મેળવી શકશે, એ મહત્વની જાહેરાત પણ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિએ કરી હતી. આ ત્રણેય રવિવાર અને તે ઉપરાંત તાલુકા મથકોએ પણ ચૂંટણી શાખામાં નાગરિકો પોતાના નામ મતદારયાદીમાં છે કે નહીં તેની ખરાઈ કરી શકશે, નવા મતદારો મતદાર યાદીમાં દાખલ કરાવી શકશે, અથવા જેમના નામ કે સરનામામાં ફેરફાર છે તેવા મતદારો પણ ફેરફાર કરાવી શકશે. આ માટે જરૂરી ફોર્મ ભરીને આધાર પુરાવાઓ રજૂ કરવા પડશે. આ ફેરફારો ઓનલાઈન www. nvsp. in, www. ceo. gujrat.gov. in દ્વારા પણ થઈ શકશે.
તો આ બાબતે તંત્ર દ્વારા એક ચોકાવનારો ખુલાસો કરાયો હતો જેમાં જણાવાયું હતું કે કચ્છમાં અત્યાર સુધી ૧૫૬૭ મતદારોના નામ ડુપ્લિકેશન ધરાવતા મળ્યા છે. આવા મતદારો એક થી વધુ જગ્યાએ મતદારયાદીમાં નામ ધરાવતા હોવાની શંકાના આધારે તેમની તપાસ થઈ રહી છે. અલગ અલગ બે જગ્યાએ ચૂંટણીકાર્ડ ધરાવનાર મતદાર સામે ફોજદારી ફરિયાદ થઈ શકે છે. એટલે, મતદારયાદી સુધારણા દરમ્યાન આવા નાગરિકોએ પોતાનું નામ અન્ય જગ્યાએ હોય તો કોઈ પણ એક જગ્યાનું ચૂંટણીકાર્ડ રાખવું જોઈએ. મતદારયાદી સુધારણા કાર્યક્રમને સફળ બનાવવા સૌને જાગૃત રહી સહકાર આપવા અનુરોધ કરાયો છે.