રણોત્સવના ”ઠેકેદાર” ની મનની ધોરાજી ! પ્રવાસીઓ સાથે ઉઘાડી લૂંટ જ્યારે કારીગરોનું રીતસરનું શોષણ
કચ્છ પાછલા કેટલાક વર્ષોથી પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક ફલક પર પોતાની આગવી ઓળખ મેળવી પર્યટકોને આકર્ષવામાં સફળ રહ્યું છે, જેનો સિંહફાળો કચ્છના રણોત્સવને કહી શકાય. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રણોત્સવનું ખાનગીકરણ કર્યા બાદ વ્યવસ્થા તેમજ વહીવટને લઈને છાસવારે ફરિયાદો સામે આવતી રહેતી હોય છે પણ આ વર્ષે તો કહેવાતા રણોત્સવના ઠેકેદારોએ સ્થાનિક કારીગરો સામે જે પ્રકારની શોષણ કરવાની નીતિ અપનાવી છે તેના સામે પર્યટકો તેમજ ટેન્ડર ભરીને બેઠેલા કારીગરોનો રોષ ઉગ્ર સ્વરૂપે દેખાઈ રહ્યો છે.
આ બાબતે મળતી રણોત્સવનો સમગ્ર કાર્યભાર સંભાળતી લાલુજી એન્ડ સન્સ. સામે સ્થાનિક કારીગરો દ્વારા તેવો આક્ષેપ કરાયો છે કે અહી તેમની પાસે ખરીદી કરવા આવતા ગ્રાહકોને અહી કોઈ દરેક વસ્તુ ખૂબ મોંઘી છે, માટે દરેક વસ્તુની ખરીદી પરિસરથી બહાર કરવા માટે સૂચન કરી ગ્રાહકોને ભ્રામક વાતોમાં ફોસલાવી રીતસરનો અમારા ધંધાને અસર પહોચે તે પ્રકારનું વલણ રણોત્સવના આયોજકો દ્વારા કરાઇ રહ્યું છે.
આ બાબતે જ્યારે કારીગરો દ્વારા આયોજકોને ફરિયાદ કરાઇ ત્યારે આયોજકોએ ” એક કલાકમાં આપના તમામ સ્ટોલ ખાલી કરી દંડ (Penalty) સ્વરૂપે પ્રતિ કારીગર દીઠ ૫૦,૦૦૦ ભરી જાઓ” તેવું વલણ દર્શાવી પોતાના શોષણ નીતિ સ્પષ્ટ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આયોજકો લાલુજી એન્ડ સન્સ દ્વારા રણોત્સવમાં ત્રણ મહિના માટે કારીગરો પાસે પ્રતિ એક સ્ટોલ ૧૮,૦૦૦ તે પ્રકારના ૩૬ સ્ટોલ પાસેથી લગભગ પોણા ૬ લાખ જેવી મસમોટી રકમ લઈ ત્યારબાદ નાના કારીગર લોકો પાસે આ પ્રકારની શોષણની નીતિ અખત્યાર કરવી તે ઘણી દુ:ખદ બાબત કહી શકાય, વહીવટી તંત્ર દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઈ ઘટતું કરે તેવી કારીગરો અપેક્ષા સેવી રહ્યા છે.