કચ્છમાં બે’ખૌફ લોકોની ચહલપહલ વધી: તંત્ર માટે ખતરાની ઘંટી
કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસ વધે નહીં તે માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે પરંતુ કેટલાક બેજવાબદાર લોકોનાં કારણે લોકડાઉનની સ્થિતિમાં પણ ટોળા વળતા હોય અથવા લટારો મારતા હોય તેવી સ્થિતિ જોવા મળે છે. સમાજનાં આ ગણ્યા ગાંઠ્યા અણસમજુ લોકોનાં કારણે લાખોનાં જીવન ઉપર ખતરો ઉભો થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ હાથ જોડીને લોકોને ઘરમાં રહેવા વિનંતી કરી છે પરંતુ વડાપ્રધાન મોદીની વાતને કેટલાક લોકો માનતા ન હોવાનું સામે આવે છે. શેરી-ગલીઓમાં આંટા ફેરા કરતા નજરે જોવા મળે છે. જો આવા લોકો સંક્રમણમાં આવી જાય તો તેઓ પોતાના ઘરે તેમજ આજુબાજુમાં સંક્રમણ ફેલાવી શકે આવી સ્થિતિમાં વર્તમાન સમયે મોતની સંખ્યા ભલે એક આંકડામાં હોય પરંતુ ટુંકાગાળામાં જ સંખ્યા ચાર આંકડે પહોંચી જાય તેવી દહેશત છે.
વર્તમાન સમયે દેશમાં લોકો ઘરની બહાર નિકળે નહીં તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ ઘરની બહાર નિકળતા લોકો સામે કડક કાર્યવાહી કરે છે. સમજાવીને પરત મોકલે છે પરંતુ રસ્તા પર કેટલાક લોકો એવા પણ જોવા મળે છે કે જેઓ કાર્યવાહીથી બચવા પોલીસથી છુપાયને આંટાફેરા કરે છે. આવા લોકોને શોધીને સખત કાર્યવાહી થવી ખુબ જ આવશ્યક છે.