કચ્છમાં ચેન્નઈથી આવેલા પરિવારે ક્વોરેન્ટાઇન કરવા મુદ્દે કેમ મચાવ્યો હોબાળો?

Contact News Publisher

ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે કામ-ધંધા બંધ થઈ જતાં લોકો મોટી સંખ્યામાં પોતાના વતન પરત ફરી રહ્યા છે. કચ્છ જિલ્લામાં પણ મોટી સંખ્યામાં અન્ય રાજ્ય અને જિલ્લામાંથી લોકો પરત ફરી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લા કલેક્ટરે આ અંગે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. તેમજ તેનો ફરજિયાત અમલ કરવા જતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

મળતી વિગતો પ્રમાણે કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી પાસે ક્વોરેન્ટાઇન કરવાના મુદ્દે ચેન્નઈથી આવેલા પરિવારે હોબાળો મચાવી દીધો હતો. પરિવાર પાસે ક્વોરેન્ટાઇન કરવા માટે દરરોજના 300 રૂપિયા અને જમવાના પૈસા ભરવા માટે કહેવામાં આવતાં લોકોએ હોબાળો મચાવી દીધો હતો. મધ્યમ વર્ગીય લોકો પૈસા ભરવા અસમર્થ હોવાની વાત બહાર આવી છે.

નોંધનીય છે કે, આ પરિવાર ખાનગી બસ દ્વારા કચ્છ પહોંચ્યો છે. પ્રવેશદ્વાર પાસેની ચેકપોસ્ટ પર તેમને પ્રવેશ ન આપતાં લોકો પરેશાન છે. જાહેનામા પ્રમાણે કચ્છમાં રેલ માર્ગે અથવા રસ્તા માર્ગે પરમિશન સાથે આવતા તમામ લોકોને ફરજીયાત ક્વોરન્ટાઇન કરવામાં આવશે. બહારથી જિલ્લામાં આવનારા લોકોએ ફરજિયાત 7 દિવસ સંસ્થાકીય ક્વોરન્ટાઇન અને ત્યાર બાદ 7 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવું પડશે. અન્ય રાજ્યો અને અન્ય જિલ્લાઓમાંથી કચ્છ તરફ મોટી સંખ્યામાં લોકો પ્રયાણ કરતા હોવાથી કચ્છના સ્થાનિકોની જીંદગી જોખમમાં ન મુકાય એ માટે કચ્છ કલેકટરે મહત્વ પૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

કચ્છ કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામામાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના માર્ગદર્શક સૂચના મુજબ રેલવે મારફતે આવતા પ્રવાસીઓ, શ્રમિકો, વિદ્યાર્થીઓને સાત દિવસ સંસ્થાકીય ક્વોરેન્ટાઇન સેન્ટરમાં અને પછી સાત દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહેવાનું છે. જોકે, આ લોકોને સંસ્થાકીય ક્વોરેન્ટાઇન સેન્ટરાં રહેવા માટે કોઈ પૈસા ચૂકવવાના નથી. આ સિવાયના લોકોને સંસ્થાકીય ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રહેવા માટે નિયત દર અને ધારા ધોરણ લાગું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *