કચ્છમાં શહેરની તુલનાએ ગામડાંમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
અનલોક-૧ બાદ જે રીતે ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે તે જોતાં આરોગ્ય વિભાગ અને પીએચસી સેન્ટરોની ચિતામાં વધારો કર્યો છે.
જિલ્લામાં કોરોનાના પગલે જોવા મળી રહેલા ઉચાટના માહોલની વચ્ચે આ વાયરસ શહેરોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રમાણમાં પ્રસર્યે હોવાની સ્થિતિ સર્જાઇને સામે આવતી દેખાઇ રહી છે. એક તરફ જ્યાં જિલ્લામાં દર્દીઓ સાજા થવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે સુધરતાં એકિટવ કેસો ઉત્તરોત્તર ઘટી રહ્યા છે. બીજી તરફ જ્યાં કોરોનાનું સંક્રમણ ફેલાવવાની વધુ ભીતિ હતી એવા શહેરી વિસ્તારના બદલે ઓછી ગીચતા ધરાવતા ગ્રામ્ય વિસ્તારમાં આ મહામારી વધુ ફેલાવવા પછવાડે અનેક પરિબળોને કારણભૂત ગણાવાઇ રહ્યાં છે.આરોગ્યતંત્ર દ્વારા જારી કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 91 પોઝિટિવ કેસ નોંધાયેલા છે જેમાંથી સાત લોકોનાં મોત નીપજ્યા છે.આ 91 કેસમાંથી ગણ્યાગાંઠયા કેસ જ શહેરી વિસ્તારમાં નોંધાયા છે, જ્યારે બહુધા એટલે કે મોટા ભાગના કેસો જિલ્લાના એકમાત્ર નખત્રાણા તાલુકાને બાદ કરતા નવ તાલુકાના ગામડાંમાં નોંધાયા છે.
જિલ્લામાં સૌથી વધુ 34 કેસ વાગડ વિસ્તારના ભચાઉ-રાપર તાલુકામાં નોંધાયા છે, જેમાં એકલ-દોકલને બાદ કરતાં તમામ કેસો બન્ને તાલુકાના ગ્રામ્યવિસ્તારના છે. જિલ્લામાં જ્યાં સૌથી વધુ ચાર મોત નોંધાયા છે એવા માંડવી તાલુકામાં પણ પોઝિટિવ કેસમાં શહેર કરતાં ગામડાનું પલડું ભારી છે. જિલ્લાના મુખ્ય શહેરો એવા ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, રાપર અને ભચાઉમાં તો તાવના નોંધાયેલા કેસના દસથી 12 ટકા કેસ માંડ નોંધાયેલા છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધવા પછવાડે એક મહત્ત્વના પરિબળ તરીકે બહારગામથી શરૂ થયેલા લોકોના આવાગમનને ગણાવાઇ રહ્યું છે. મુંબઇ વસતા કચ્છીઓ માદરે વતન મોટા ભાગે જિલ્લાના ગામડાંઓમાં જ આવ્યા છે અને આજ કારણોસર ગામડાંના લોકો વધારે પ્રમાણમાં સંક્રમિત થયા છે. તો અન્ય મહત્ત્વના પરિબળ તરીકે સોશિયલ ડિસ્ટન્ટસિંગ સહિતની અમલવારીમાં ઢીલાશને ગણાવવામાં આવી રહ્યું છે. જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો 100ની નજીક પહોંચી રહ્યો છે.