જિલ્લાના ચૂંટણી તંત્રને છેલ્લા એક માસમાં આચારસંહિતાની કેટલી ફરીયાદો મળી?
તા. 12-4-2019ના સવારે હિસાબોની યોજાશે પ્રથમ બેઠક જ્યાં તમામ ઉમેદવાર અને ફ્લાઈંગ સ્કવોડના અધિકારીઓને હાજર રહેવા આદેશો અપાઈ ગયા છે. લોકસભાની ચુંટણી માટે ગુજરાતમાં ર૩મીએ મતદાન થવાનું છે. ખર્ચના હિસાબો શરૂ થઈ ગયા છે. આવતી કાલે શુક્રવારે ભુજમાં લોકસભાના ઉમેદવારોને અત્યાર સુધી કરેલા ખર્ચનો હિસાબ ચુંટણી વિભાગને આપવો પડશે, કોઈ પણ ઉમેદવાર ૭૦ લાખ રૂપિયાની મર્યાદામાં ખર્ચ કરવાની ચૂંટણી પંચ દ્વારા છૂટ આપવામાં આવી છે પરંતુ ઉમેદવારો તે ખર્ચને છુપાવતા હોય છે. જો કોઈ ઉમેદવાર ખર્ચ છુપાવશે તો તેને નોટીસ ઈસ્યુ કરવાની વાત ખર્ચના નોડલ ઓફિસર અને ડીડીઓએ કરી હતી. આ ચુંટણી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોને ૩ વખત હિસાબો રજુ કરવા પડશે. ચુંટણીના પ્રચાર દરમ્યાન ઉમેદવારોની સભા માટે મંડપ, ખુરશી, ચા-પાણી, સ્ટેજ સહિતની વસ્તુઓના ભાવપત્રક જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા જારી કરાયું છે. ચુંટણી પ્રચારમાં ઉમેદવારો દ્વારા ઉમેદવારોનું શેડો રજીસ્ટર બનાવામાં આવ્યું છે. જેમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ ખર્ચ બાદ રજુ કરાયેલા ખર્ચનું મેળવણું કરવામાં આવશે, જો ચકાસણી દરમ્યાન ઉમેદવારો દ્વારા ખર્ચનો હિસાબો છુપાવવામાં આવશે તો સૌપ્રથમ મૌખિક સુચના આપવામાં આવશે, તેમ છતાં પણ ઉમેદવાર ખર્ચ નહી સ્વીકારે તો કલેક્ટર તેમજ ખર્ચ નોડલ ઓફિસર દ્વારા નોટીસ ફટકારવામાં આવશે.
૧૦મી માર્ચના રોજ ચુંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચુંટણીની તારીખો જાહેર કર્યા બાદ સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ પડી છે. આ એક માસના સમયગાળા દરમ્યાન કચ્છમાં આચારસંહિતા ભંગની તંત્રને ૪પ ફરિયાદો મળી હોવાનું અચારસંહિતાના નોડલ ઓફિસર પી.આર. જોષીએ જણાવ્યું હતું. તેમને ૧૮ ફરિયાદો લેખીત સ્વરૂપે મળી હતી. જેમાંથી ૧૭ ફરિયાદોના જવાબો પણ અરજદારોને લેખીતમાં આપી દેવામાં આવ્યા હોવાથી તે તમામ ફરિયાદોનું નિરાકરણ કરી દેવામાં આવ્યું છે. તો ચુંટણી પંચ દ્વારા જારી કરાયેલી સી વિઝીલ એપ મારફતે પણ ચુંટણી વિભાગને ર૭ ફરિયાદો મળી હતી. જેમાથી ૧ર ફરિયાદો સાચી હોવાનું આચારસંહિતાના નોડલ ઓફિસરે જણાવ્યું હતું. બાકીની ફરિયાદો મોટાભાગની આચારસંહિતા લાગુ થયા બાદ બે- ત્રણ દિવસમાં મળી હતી. જેમાં અનેક જગ્યાએ હોર્ડિગ્સ અને બેનર લાગેલા હોવાની હતી અને તે સમયે આ કામગીરી ચાલતી હોવાથી તેવી ફરિયાદો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. જો કે અત્યાર સુધી કોઈ પાર્ટી કે ઉમેદવાર વિરૂધ્ધ ગંભીર ફરિયાદ ન મળી હોવાની વાત પણ તેમણે કરી હતી.