ભુજના જાગૃત વર્ગની ચિંતા : કોરોના દર્દીની ઓળખ છુપાવવી કેટલી યોગ્ય
કચ્છમાં અત્યાર સુધી કોરોનાના કેસોની નામ સહિતની વિગતો જાહેર કરાતી હતી, હવે નામ સહિતની કેટલીક વિગતો આપવાનું બંધ કરવામાં આવ્યું છે. એ સામે સમજદાર વર્ગ અને લોકોમાં એવી ચિંતા જાગી છે કે એકતરફ સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોવિડ દર્દીઓ પર પરદો પાડી દેવાથી લોકોને કોનાથી અને ક્યા વિસ્તારથી દૂર રહેવું એની ખબર નહીં પડે અને બીમારી વધુ ફેલાશે.
તંત્ર દ્વારા કોરોના પોઝિટિવના નામ જાહેર કરાય તો અગાઉની જેમ જે-તે વિસ્તારમાં રહેતા લોકો અવગત થઇ બીમાર, વૃદ્ધ, બાળકો, સગર્ભાની સાવચેતી વધારી શકે તેમ તે વિસ્તારમાં જવા ઇચ્છુક લોકો જવાનું ટાળે.આમ, લોકો કોરોનાના સંક્રમણથી બચી શકશે અને તંત્ર ઉપરનો બોજ પણ હળવો થવાની સંભાવના રહેલી છે એવું સૂચન કેટલાક જાણીતા તબીબોએ પણ કર્યું છે.
આ અંગે ડી.ડી.ઓ. પ્રભવ જોશીએ ખાનગી તબીબોને અનુરોધ કર્યો હતો કે, તેમણે કોવિડ વોર્ડમાં આવી સેવા આપવી જોઇએ અને કોરોના પોઝિટિવને પોતાની હોસ્પિટલમાં દાખલ કરવા જોઇએ. તંત્ર દ્વારા આ બાબતે અનુરોધ કરાયો હતો છતાં કોઇ ખાનગી તબીબ આગળ નથી આવ્યા એવો ખેદ તેમણે વ્યક્ત કર્યો હતો.