નખત્રાણા, લખપત, અબડાસામાં આદર્શ આચારસંહિતાનો પ્રારંભ
અબડાસા મત વિસ્તારની પેટા ચૂંટણીની જાહેરાત મંગળવારે થતાની સાથે મત વિસ્તારના ત્રણ તાલુકા અબડાસા, નખત્રાણા અને લખપતમાં આદર્શ આચારસંહિતાનો પ્રારંભ થયો છે.વિધાનસભા પેટા ચૂંટણી-2020 અન્વયે આદર્શ સંહિતાની અમલવારી બાબતે બુધવારે કલેકટર કચેરીઅે આચારસંહિતા અમલીકરણ અધિકારી મેહુલ જોષી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિની અધ્યક્ષતા હેઠળ સમીક્ષા બેઠક યોજાઇ હતી.
મત વિસ્તારમાં લાગુ પડતા ત્રણ તાલુકા નખત્રાણા, અબડાસા અને લખપતમાં આદર્શ ચૂંટણી આચારસંહિતાનો મંગળવારથી સંપૂર્ણ અમલ થઈ ગયો છે. સમગ્ર જિલ્લામાં રાજકીયપક્ષો અને સરકારમાં અમલી થતી બાબતો અને નિષેધ કરાતી પ્રવૃતિ બાબતે વિગતે ચર્ચા કરાઇ હતી. અબડાસા મત વિસ્તારમાં આદર્શ ચૂંટણી આચારસંહિતા મુજબ સરકારી કાર્યક્રમો, યોજનાઓ અને વિકાસ કામગીરી, સરકારી પ્રચાર-પ્રસાર કરી શકાશે નહીં. સમગ્ર જિલ્લામાં અસરકર્તા બાબતોમાં આંશિક આચારસંહિતા લાગુ પડશે. આચારસંહિતાના પગલે સરકારી અધિકારી/કર્મચારીઓની બદલી અને રજા ઉપર પ્રતિબંધ લદાયો છે.
વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવિડ-19 તેમજ અન્ય કુદરતી આપદા કે,હોનારતમાં આદર્શ ચૂંટણી આચારસંહિતાનો અમલ લાગુ નહિં પડે આ સંદર્ભે કરવાની થતી જાહેરહિતની કામગીરી, અમલવારી આચારસંહિતામાંથી મુકત રહેશે.