માતાના મઢમાં ૧૦ વેપારી પોઝિટિવ : નવરાત્રિમાં મંદિર બંધ હોઇ, હમણાથી ઉમટતી ભીડથી ચિંતા
કચ્છમાં કોરોનાની ગતિ પૂરપાટ રહી છે ત્યારે માતાના મઢમાં ૧૦ વેપારી પોઝીટીવ બનતા ફફડાટ વ્યાપી ગયો છે. માતાના મઢમાં આરોગ્ય વિભાગે કરેલા રેપિડ ટેસ્ટમાં ૧૦ વ્યાપારીઓ પોઝિટિવ આવ્યા છે. નવરાત્રિ દરમ્યાન મંદિર બંધ હોઈ હમણાં લોકોની ભીડ ઉમટી રહી હોઈ માતાના મઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ ગામ લોકોની અને દર્શનાર્થીઓની સલામતી અંગે ચિંતાની લાગણી વ્યકત કરી છે. યાત્રાધામ માતાના મઢમાં લોકો જો આજ રીતે આવશે તો સંક્રમણ વધશે એવો ભય સરપંચે વ્યકત કર્યો છે.
જોકે, સરકારી ચોપડે આવા અનેક પોઝિટિવ કેસ ચોપડે ચડતા નથી. શહેરી વિસ્તારોના અમુક કેસ હજીયે માંડ ચોપડે ચડે છે, પણ કચ્છના નાના તાલુકા મથકો અને ગ્રામીણ વિસ્તારોના અનેક કેસ ચોપડે ચડતા નથી. હમણાં જ આરોગ્યતંત્રની રેપિડ ટેસ્ટમાં દયાપર (તા.લખપત)ના ૮, કોટડા (તા.ભુજ), નખત્રાણાના ૨ કેસ પણ સરકારી ચોપડે ચડ્યા ન હોવાની ચર્ચા છે.