કચ્છમાં પાણીની પળોજણ : કચ્છમાં હાલ ૨૦થી વધારે ગામો ટેન્કર પર નિર્ભર
નર્મદા યોજનાનું કામ જ્યારે-જ્યારે કોર્ટમાં અટકતુ ત્યારે-ત્યારે સરકારે કચ્છ સુધી પાણી પહોંચાડવુ છે તેવી દલીલ કરી કામની મંજૂરી મેળવવાની કોશીશ કરી છે. હાલ સરદાર સરોવર બંધ પર દરવાજા ગોઠવાઇ ગયા તેને પણ બે વર્ષ થઇ ગયા, પરંતુ કચ્છમાં હજુ પણ નર્મદાની મુખ્ય કેનાલના કામ પૂર્ણ થયા નથી ! સિંચાઇના પાણી તો દૂરની વાત પીવાના પાણીના પણ ફાંફાં છે. આજની તારીખે પણ રાજ્યમાં સૌથી વધારે વધારે ટેન્કર આધારીત ગામો કચ્છમાં છે ! હાલમાં કચ્છમાં 20થી વધારે ગામોમાં ટેન્કર વડે પાણી પહોંચાડવામાં આવે છે !
આ અંગે મળતી વિગતો મુજબ વર્ષો પહેલા કચ્છમાં સેંકડો ગામોમાં ટેન્કર વડે જ પાણી આપવામાં આવતુ હતું. હવે પાણીની વ્યવસ્થામાં થોડો સુધારો થયો છે. પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓની સામે કચ્છને અન્યાય થયો છે. નર્મદાના કામોમાં કચ્છને સૌથી પાછળ રાખવામાં આવે છે. કચ્છમાં મુખ્ય કેનાલના કામો હજુ પૂર્ણ થયા નથી, તેવામાં પેટા કેનાલના કામો પૂર્ણ થતા હજુ વર્ષો લાગી જશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નર્મદાના વધારાના પાણીના કામો પૂર્ણ થવામાં આવ્યા છે. તેના માટે અબજો રૂપિયા ખર્ચાઇ ગયા છે. પરંતુ કચ્છના હકના વધારાના પાણીના કામો હજુ વહીવટી કાર્યવાહીમાં અટવાયા છે ! આ અન્યાય વર્ષોથી થઇ રહ્યો છે. સરકાર એકબાજુ નલ સે જલના દાવા કરે છે. પરંતુ કચ્છમાં આજની તારીખે અનેક ગામોમાં ટેન્કરના ટોળે વળીને લોકો પાણી ભરવા મજબૂર છે. સરકારી તંત્ર અને રાજકારણીઓના પ્રચારતંત્રના લીધે ગામડાઓની આવી વાસ્તવિક સ્થિતિ બહાર આવતી નથી.