કચ્છ જિલ્લામાં વાવણીલાયક વરસાદ થવાની રાહમાં ખેડૂતો
વિવિધ પ્રાકૃતિક સંપદાઓ અને ઉધોગો ધરાવતા કચ્છ પંથકને આર્થિક દ્રષ્ટિએ ટકી રહેવા માટે ખેતીકાર્ય મહત્વનું પાસું બની રહે છે. નર્મદા કેનાલના પાણી પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ ઉપીયોગી પુરવાર થાય છે. અને તેના કારણેજ આ સાલ અત્યારે સૌથી વધુ વાવેતર રાપર તાલુકામાં થયું છે. જ્યારે અન્ય વિસ્તારો હજુ પૂરતા વરસાદની રાહ જોઇ રહ્યા હોય એવું વાવણી કાર્યના આંકડા જોતા લાગી રહ્યું છે.
જિલ્લા પંચાયતની ખેતીવાડી વિભાગના અધિકારી ડી.એમ. મેણાતના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ચોમાસુ પાક માટે જેવા કે મગફળી, દિવેલા, કપાસ અને શાકભાજી સહિતના વાવેતર માટે અત્યાર સુધી જિલ્લામાં 1 લાખ 76 હજાર 422 હેકટરમાં વાવણી કાર્ય થયું છે. જિલ્લામાં ખેતીકાર્ય માટે કુલ સવા છ લાખ જેટલા હેકટરનો સમાવેશ થાય છે એ પ્રમાણે વાવણી કાર્ય ઓછું જણાય છે.
પશ્ચિમ કચ્છના અબડાસા નખત્રાણા અને મુન્દ્રા વિસ્તારમાં વરસાદ પડતાં નવા નીર જળાશયોમાં જરૂર આવ્યા છે પરંતુ નોંધપાત્ર માત્રામાં નહીં અને તેથીજ અષાઢ માસ દરમ્યાન થવી જોઈતી વાવણી અપૂરતા વરસાદના કારણે પૂર્ણ રૂપે નથી થઈ શકી એવું ખેતી કચેરીએથી જાણવા મળ્યું હતું.