સાતમ-આઠમના તહેવારમાં મીઠાઈ અને ફરસાણનું વેચાણ અડધોઅડધ ઘટવાની ભીતિ
સાતમ આઠમના તહેવારોનો આરંભ થઈ ચૂક્યો છે પરંતુ આ વખતે ભુજમાં મીઠાઈ અને ફરસાણનું માત્ર અડધું જ વેચાણ થશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ફરસાણ વિક્રેતાઓએ કહ્યું કે,સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થઈ ગયો છે જેથી ભાવ વધી જતાં ફરસાણ મોંઘા થઈ ગયા છે તો મીઠાઈના વેપારીએ કહ્યું કે, હાલમાં દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો થયો હતો ઉપરાંત છૂટક વેચાણમાં પણ ભાવ વધ્યા છે જેથી ઘીના ભાવ વધી ગયા છે.
બીજી તરફ અફઘાનિસ્તાનની સ્થિતિના કારણે બદામ સહિત ડ્રાયફ્રુટના ભાવમાં અડધો અડધ ભાવ વધારો આવી ગયો છે જેથી મીઠાઈની કિંમતમાં ભાવ વધારો કરવાની નોબત આવી છે રાંધણગેસના ભાવમાં આવેલો ઉછાળો પણ એટલો જ કારણભૂત છે તેવું ઉમેર્યું હતું. પ્રબુદ્ધ નાગરિકોએ જણાવ્યું કે, મોંઘવારીના કારણે મીઠાઈ ફરસાણ તો મોંઘા થઈ ગયા પણ કોવિડની સ્થિતિમાં લોકો પાસે બચત ખૂટી પડી છે.
બીજી તરફ આખર તારીખ હોવાથી ઘણા લોકો પાસે રૂપિયા નહિ હોય જેથી વધારે મીઠાઈ ફરસાણ ખરીદશે નહિ પોતાની જરૂરિયાત પર કાપ મૂકી અડધી મીઠાઈ ખરીદશે ઉપરાંત શનિ અને રવિવારે તહેવાર આવે છે ભુજમાં મેળો બંધ હોવાથી આ વખતે અમુક લોકો વિકેન્ડની રજા માણવા ફરવા જશે જેથી લોકોની ગેરહાજરી પણ મીઠાઈ અને ફરસાણના ધંધામાં મહત્વનો ભાગ ભજવશે આમ જોવા જઈએ તો ભાવ વધી ગયા અને લોકો પાસે રૂપિયા નથી જેમની પાસે નાણાં છે તેઓ ફરવા જશે જેથી આ વખતે વેચાણમાં અડધો અડધ ઘટાડો થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.