કચ્છમાં હજુ પણ ઘણી પૂરાતન વિરાસતો જે રહી છે વિકાસથી વંચિત
ગત જુલાઈના ચીન ખાતે યુનેસ્કોની ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં દરજ્જો અપાયો છે. પાંચ હજાર વર્ષ પ્રાચીન સંસ્કૃતિને રાજ્ય અને કેન્દ્ર સરકારના અનેક પ્રયાસો બાદ ગુજરાતનું આ ચોથું સ્થળ છે કે, જેને વિશ્વના પ્રાચીન સ્થળમાં સ્થાન મળ્યું છે.
ભારતના પશ્ચિમી સરહદે દુનિયાનું સૌથી મોટું કચ્છનું રણ છે. જ્યાં મીઠાનું વિસ્તૃત મેદાન છે. લગભગ 20 હજાર સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલ આ વેરાન મેદાન, જયાં એક સમયે હડપ્પન સંસ્કૃતિ વસેલી હતી. ગામની તે સમયની બાંધણી આજે પણ નવાઈ પમાડે તેવી તકનીકી વ્યવસ્થા સાથે ઊભી કરાઈ હતી.
અલ્પ વરસાદ રહે છે તેવા કચ્છમાં તે સમયે પણ જળ સંગ્રહની સુદ્રઢ વ્યવસ્થા કરાઇ હતી. વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કરાતા વિશ્વભરના લોકોનું ધ્યાન આ તરફ ખેંચાશે. માત્ર પ્રવાસીઓ જ નહિ, સંશોધકો પણ આ સાઇટની મુલાકાત લેશે, ત્યારે જાણીએ પાંચસો કે તેનાથી જૂની ઐતિહાસિક ધરોહર, કે જેનો વિકાસ પણ થવો જોઈએ.
કોટાયમાં જૂના નગરના અવશેષો તેમજ અનેક ખંડેર મંદિરો આવેલા છે જે લગભગ દસમી સદીના છે. પશ્ચિમ તરફના દ્વારવાળુ રા’લાખાએ બંધાવેલું શિવ મંદિર આજે પણ ઊભુંછે. સીમેન્ટના ઉપયોગ વગર અંશતઃ પીળા અને લાલ પથ્થરનું બનેલું છે. આ મંદિરનું ગર્ભગૃહ ચોરસ આકારનું છે. મંદિરમાં પથ્થરમાં કોતરેલી બે જાળીઓમાંથી આવતી પ્રાકૃતિક રોશની દ્વારા પ્રકાશિત રહે છે. મંડપની માત્ર ઉત્તરી દીવાલ હવે શેષ રહી છે. તે દીવાલ પર સારી રીતે કોતરેલા શિલ્પો આવેલા છે. આ મંદિરના શિખરો પણ આઠ ત્રિકોણાકાર કૃતિઓની અલંકૃત સજાવટ છે. આ કૃતિઓ ચૈત્ય જેવા આકારની છે અને તેમને શિખરની ચારે બાજુએ મુકવામાં આવી છે. આ કૃતિઓની વચ્ચે માનવાકૃતિઓ કોતરવામાં આવેલી છે.
જે રીતે ધોરડોનું સફેદ રણ માર્કેટિંગને કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે, તેમ કચ્છની સરહદ લગોલગ એકલનું રણ પણ ખૂબ સુંદર અને સ્ફટિક જેવું છે. આ સ્થળ ઘડુલી સાંતલપુર માર્ગ બની જતા તેમજ ધોળાવીરા હડપન સંસ્કૃતિના સ્થળે વિકાસ થાય તો પ્રવાસીઓને આકર્ષવા સમર્થ છે. સરહદ પર ગ્રીન એનર્જી પાર્ક આકાર લેવાનું છે ત્યારે સાથે સાથે બોર્ડર ટુરિઝમ વિકસાવી નવો આયામ શરૂ કરી શકાય.