માધાપરની શાળાએ બે બાળકીને કાઢી મુકતા પરીવારે ઈચ્છા મૃત્યું માંગ્યુ
માધાપરમાં વસતા પરીવારની બે બાળકીને ગામની એક ખાનગી શાળાએ પુરી ફી ન ભરાતા શાળામાંથી હાંકી કાઢી, આટલું ઓછું હોય તેમ ધો.૧૦માં બોર્ડની પરીક્ષામાં પણ બેસવા ન દેતા અંતે હિંમત હારી ચુકેલા પિતાએ જિલ્લા કલેકટર પાસે સમસ્ત પરીવાર માટે ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે.
આ અંગે માધાપર જુનાવાસના રાજેશ વાધજી દાવડાએ આપવિતી જણાવતા જણાવ્યું હતું કે, લારી ઉપર ખાણીપીણીનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવું છું. કોરોનામાં આર્થિકભીંસ વધતા મારી બે પુત્રીઓ એક ધો.૧૦માં તથા બીજી ધો.૭માં નવાવાસમાં ડુંગરવાળા મહાદેવ જતા રસ્તા પર આવેલી ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી જેની ફી ન ભરી શકતા શાળાના મેનેજર બંને બાળકીને શાળામાંથી હાંકી કાઢી છે. ફી ભરવા અનેકરીતે દબાણ કરાતા વર્તમાનમાં શક્ય ન હોવાથી ફી મુદે કોઈ અન્ય રસ્તો કાઢી આપવા રજુઆત કરવા છતાં સ્કુલ મેનેજમેન્ટે બંને દિકરીઓનું પરીણામ અટકાવી દિધું છે. જો ચડત રકમ ન ભરૃ તો આગામી પરીક્ષામાં બેસવા ન દેવાની ધમકી પણ આપી છે. જે અનુંસધાને શાળાએ મોટી પુત્રીની ફી ન ભરાયેલી હોવાથી બોર્ડની પરીક્ષામાંથી વંચિત રાખી દિધી છે. બે મહિનાનો અભ્યાસ પણ પુર્ણ કરાવ્યો નથી.
આમ, મારી દિકરીના ભવિષ્ય સાથે ચેડા કરીને ૧૫ વર્ષની બાળકીને માનસિક ત્રાસ ગુજારાયો છે. હાલે બોર્ડની પરીક્ષાથી વંચિત રહી જતાં દિકરીની માનસિક સ્થિતી પર અસર પડી છે. આવામાં જો પુત્રી કોઈ અજુગતું કરી બેસ તો પરીવાર વિંખાઈ જવાની ભીતી છે. બોર્ડની પરીક્ષા શરૃ થાય તે પહેલા આ સ્થિતિ ઉભી થવા મુદે જિલ્લાશિક્ષણતંત્ર , શિક્ષણાધિકારી સહીત તમામ જવાબદારોને રજુઆત કરાઈ હતી. છતાં જાડી ચામડીના એકપણ અધિકારીના પેટનું પાણી હલ્યું નહી. બેટી બચાવો,બેટી પઢાઓની વાત કરતા અધિકારી અને નેતાએ યોગ્ય સમયે શાળા સામે કોઈ પગલા ન ભરતા પુત્રીનું ભવિષ્ય રોળાઈ ગયું છે. હાલે બે પુત્રીઓને કેમ ભણાવવી તે પ્રશ્ન ઉભો થયો છે ત્યારે શાળા પ્રશાસન દ્વારા ગુજારવામાં આવતા માનસિક ત્રાસથી છુટકારો મેળવવા ૨૧ દિવસમાં મારા પરિવારને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવામાં આવે તેવી માંગણી સમસ્ત પરીવારે કરી છે. જો મંજુરી નહીં અપાય તો કલેકટર કચેરી સામે મૃત્યુની માંગણી સાથે ધરણા,ઉપવાસ પર આખો પરીવાર બેસશે તેવી ચીમકી અપાઈ છે.