કચ્છના સૌથી મોટા હત્યાકાંડના 16 આરોપીઓને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
ભુજ શહેરની ભાગોળે આવેલી પાલારા ખાસ જેલ બે બાબતો માટે ખાસ છે. એક તો તેને મળેલા ખા જેલના બિરુદના કારણે અને બીજું ત્યાંના ભજીયા હાઉસ માટે. જેલમાં સજા ભોગવતા કેદીઓ દ્વારા બનાવવામાં આવતા ભજીયાના અનેક લોકો દિવાના છે. પણ હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા સુરબા વાંઢ હત્યાકાંડ કેસમાં 16 લોકોને જામીન અપાતા હવે જેલ પાસે ભજીયા બનાવવા કેદીઓ બચ્યા નથી અને તે કારણે આ જેલ ભજીયા હાઉસને હાલ માટે તાળા મારવાની ફરજ પડી છે.
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં શરૂ થયેલા ભજીયા હાઉસ બાદ ભુજની પાલારા ખાસ જેલમાં પણ કેદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 2015માં તાત્કાલિન જેલ અધિક્ષક દ્વારા અહીં પણ નાના પાયે ભજીયા હાઉસની શરૂઆત કરવામાં આવી હતી. કેદીઓ દ્વારા બનતા ભજીયા ખાવા લોકો દૂર દૂરથી આવવા લાગ્યા અને તેના લાજવાબ સ્વાદના કારણે આ ભજીયા હાઉસ પાલારા જેલની ઓળખ બન્યું હતું.
પાલારા ખાસ જેલના અધિક્ષક રાજેન્દ્રસિંહ રાવે જણાવ્યું હતું કે, કેદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત પાકા કામના કેદીઓને જેલ પરિસરની બહાર આવેલી ગૌશાળા અને ભજીયા હાઉસમાં કામ કરવાની તક આપવામાં આવે છે. તો છેલ્લા લાંબા સમયથી કચ્છના વાગડમાં થયેલા ચકચારી સુરબા વાંઢ હત્યાકાંડના 16 જેટલા આરોપીઓ અહીંના ભજીયા હાઉસમાં ફરજ બજાવી રહ્યા હતા. હાલમાં જ તેમની અપીલની નોંધ લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા હત્યાકાંડના 16 આરોપીઓને જામીન અપાતા હવે જેલ પાસે ભજીયા બનાવવા કેદીઓ બચ્યા નથી.