રતાડિયાની સીમમાં વૃદ્ધ મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત
હતભાગી ગઈકાલે સવારે મંદિરે દર્શન માટે ગયા તે બાદથી હતા ગુમ : શોધખોળ દરમિયાન રાત્રે સીમમાંથી લાશ મળી આવી : સવારે મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો-પરિવારજનો દોડી ગયા
મુન્દ્રા : તાલુકાના રતાડિયા ગામની સીમમાં વૃદ્ધ મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હોવાની ઘટના સામી આવી છે. બનાવને પગલે આજે સવારે મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી ગયા હતા.જાણવા મળતી માહિતી પ્રમાણે રતાડિયા ગામની સીમમાં ગઈકાલે રાત્રે વૃદ્ધ મહિલાની લાશ મળી આવી હતી. હતભાગી મંદિરે દર્શન કરવા ગયા તે બાદથી ગુમ હતા. તેઓની લાશ મળતા અનેક તર્કવીતર્ક ફેલાયા છે. બનાવને પગલે પરિવારજની સાથે સમાજમાં પણ અરેરાટી છવાઈ ગઈ છે. પ્રાગપર પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે અકસ્માત-મોતનો ગુનો હાલ તબક્કે દાખલ કરવામાં આવ્યો હતો. જેની વિગતો મુજબ હતભાગી ૬પ વર્ષિય મહિલા જશીબેન વંકાજી રબારી ગઈકાલે સવારે ગુંદાલા રામદેવપીરના મંદિરે દર્શન કરવા ગયા હતા જેઓ પરત ન આવતા પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ દાખલ કરવામાં આવી હતી. પરિવારજનો શોધખોળ કરતા હતા એ દરમિયાન રાત્રે એક વાગ્યાના રતાડિયાની સીમમાં તેઓની લાશ મળી આવતા પરિવાર આઘાતમાં સરી ગયો હતો. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. બનાવની જાણ થતા સવારે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામ ગઢવી, મહામંત્રી કીર્તિ રાજગોર, ભાજપ મંત્રી વાલજીભાઈ ટાપરીયા, માંડલભાઈ રબારી, રાજેશભાઈ રબારી, કપીલભાઈ કેરાસિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. મોતનું કારણ જાણવા માટે તબીબો દ્વારા પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોતનું કારણ સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તબક્કે પોલીસે આસપાસના વિસ્તારમાં કેમેરા ચકાસવાની કામગીરી પણ હાથ ધરી છે.