અંજારની વેલસ્પનમાં સ્ટીલનું ગરમ પ્રવાહી આધેડ પર પડતા ગંભીર રીતે દાઝવાથી મોત
ગાંધીધામ : અંજારની વેલસ્પનમાં સ્ટીલનું ગરમ પ્રવાહી આધેડ પર પડતા ગંભીર રીતે દાઝવાથી મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ તરફ ભચાઉના લાકડિયા નજીક ખરતરાવાંઢમાં લાકડા કાપતા યુવકને વીજકરંટ ભરખી ગયો હતો, જ્યારે ગાંધીધામની હોટલમાં યુવકે ફાંસો ખાઈ લીધો હતો. અંજારના વેલસ્પન કંપનીના સ્ટીલ મેટીંગ શોપમાં બનાવ બન્યો હતો. જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા અંજારના આધેડનું મોત થયું હતું. પોલીસ મથકેથી મળેલી માહિતી મુજબ જોગીવાસ જનતા કોલોનીમાં રહેતા મોહમદ ઈદરીસ યાશીન નામના પ૦ વર્ષિય આધેડ ગત ૧૮ તારીખે કામ કરતા હતા ત્યારે સ્ટીલનું ગરમ પ્રવાહી તેમના શરીર પર પડતા ગંભીર ઈજાઓના કારણે દાઝી ગયા હતા. જેઓને પ્રથમ સારવાર માટે આદિપુર ડિવાઈન લાઈફ હોસ્પિટલ અને બાદમાં અમદાવાદ ઝાયડસમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ તરફ ભચાઉ તાલુકા ના લાકડીયા ગામે આવેલ ખરતરાવાંઢમાં ઈલેકટ્રીક કરંટના કારણે યુવકનું મોત થયું હતું. હતભાગી ૧૮ વર્ષિય નિકુલ શ્યામભાઈ કોલી ગામમાં નવીન દેવાભાઈ વાણિયાની વાડીમાં શાળાની બાજુમાં લિમડાનો ઝાડ કાપતો હતો ત્યારે અચાનક કરંટ લાગતા મોત થયું હતું. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામના પ્લોટ નં.૧૦૬, મકાન નં.૭ મા રહેતા આશિષ દિલીપદાસ નામનો યુવક સિટીપ્લાઝા હોટલમાં કામ કરતો હતો એ દરમિયાન તેણે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન લીલા સંકેલી લીધી હતી.